એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રમત શરૂ થાય તે પહેલાં જ એક મોટી ભૂલ કરી બેઠાં હતા. આ ટેસ્ટ મેચમાં જાડેજાના બેટથી 89 રન બન્યા હતા, પરંતુ સાથોસાથ તેણે BCCIનો એક નિયમ પણ તોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી BCCI એ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે કેટલીક નવી માર્ગદર્શિકા જારી કરી હતી, જેનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, એજબેસ્ટન ટેસ્ટ મેચના બીજા દિવસે રમત શરૂ થાય તે પહેલાં જ જાડેજાએ માર્ગદર્શિકાનું પાલન ન કરતા એક નિયમ તોડ્યો, જેના માટે બધાની નજર બોર્ડ તરફથી તેને સજા મળશે કે નહીં તેના પર મંડાયેલી છે.
રવિન્દ્ર જાડેજાએ BCCIનો આ નિયમ તોડ્યો
2025 ની શરૂઆતમાં જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને દેશ પરત ફરી ત્યારે BCCI એ વિદેશી પ્રવાસો માટે કેટલાક નવા નિયમો બનાવ્યા. તેમાં એક નિયમ એ હતો કે કોઈ પણ ખેલાડી એકલો સ્ટેડિયમ જશે કે આવશે નહીં. બધા ખેલાડીઓ ટીમ બસમાં સાથે મુસાફરી કરશે. એજબેસ્ટન ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા પહેલાથી જ ટીમ બસ છોડીને સ્ટેડિયમ જવા રવાના થઈ ગયો હતો. જોકે, જાડેજાએ ટીમના હિતને ધ્યાનમાં રાખીને આ નિયમ તોડ્યો.
જાડેજાએ જણાવ્યું કારણ
બીજા દિવસની રમત પૂરી થયા પછી રવિન્દ્ર ટીમ ઈન્ડિયા વતી પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, જેમાં તેમણે કહ્યું કે બોલ નવો હોવાથી મને લાગ્યું કે મારે વધારાની બેટિંગ કરવી જોઈએ કારણ કે જો હું નવો બોલ સારી રીતે રમીશ, તો મારા માટે કામ થોડું સરળ થઈ જશે. હું આ કરવામાં સફળ રહ્યો અને લંચ સુધી બેટિંગ કરી શક્યો. જ્યારે તમે બેટથી ટીમમાં યોગદાન આપો છો, ત્યારે તે ખૂબ સારું લાગે છે. જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે 5 વિકેટ ગુમાવી ચુકી હતી અને આવી સ્થિતિમાં પણ હું સારી બેટિંગ કરી શક્યો, જેનાથી હું ખુશ છું.
