Madhya Gujarat

ડાકોરમાં વસંતપંચમી સાથે ફાગ ઉત્સવના વધામણાં કરાયાં

ડાકોર: યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. જોકે, મંદિરમાં વસંત પંચમીથી જ તેનો ઉત્સવ શરૂ થઈ જાય છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારે વસંતપંચમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ વસંતપંચમીના દિવસે ઠાકોરજીને સફેદ વસ્ત્રો સાથે સોનાના શંખ, ચક્ર, પદ્મ, ગદા સહિત કિંમતી આભુષણોનો શણગાર કરવામાં આવ્યો હતો.

ભગવાનને ધાણી-ચણાં, ખજુરનો ભોગ ધરાવી ફાગ ઉત્સવના વધામણાં કરવામાં આવ્યાં હતાં. સવારે શણગાર આરતી સમયે વારાદારી સેવક દ્વારા ભગવાન ઉપર અબીલ-ગુલાલ સહિતના રંગોનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે બાદ ચાંદીની પિચકારીમાં ભરેલ કેસુડાના પાણી તેમજ અબીલ-ગુલાલની છોળ ભક્તો ઉપર ઉછાળવામાં આવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલાં ભક્તો, ભગવાન સંગ હોળી ખેલ્યાંનો આનંદ માણી ધન્ય બન્યાં હતાં. મંદિરમાં સતત 40 દિવસ સુધી આ જ રીતે સવારે શણગાર આરતી સમયે ભક્તો ઉપર અબીલ-ગુલાલની છોળ ઉડાવાશે.

Most Popular

To Top