Comments

સદી પૂર્વેનો આપણો દીર્ઘદ્રષ્ટા

લખનૌ યુનિવર્સિટીના પ્રા. રાધાકમલ મુખરજીએ પ્રિન્સીપલ્સ ઓફ કમ્પેરેટિવ ઇકોનોમિકસ શીર્ષક હેઠળ તુલનાત્મક અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની ચર્ચા કરતું પુસ્તક 1922માં પ્રસિધ્ધ કર્યું હતું. આ પુસ્તક 100 વર્ષ પછીય વાંચ્યા બાદ મને એ વાતનું આશ્ચર્ય થયું કે ભારતીય ગામડાંઓની આર્થિક સામાજિક જિંદગી પર પ્રાકૃતિક પર્યાવરણની અસર પર કેવું ધ્યાન આપવામાં આવ્યું છે. ખેતી ટકાવી રાખવા સામાન્ય સંસાધનોના મહત્ત્વ પર ધ્યાન આપનાર કદાચ તેઓ પહેલાં ભારતીય વિદ્વાન હતા. ખેડેલી જમીન વ્યકિતગત કે પારિવારિક માલિકીની પરંપરાગત રીતે રહેતી હતી પણ જમીન, ચરિયાણક અને નહેરોનો કારભાર ગામ કરતું હતું. પ્રો. મુખરજીએ લખ્યું છે કે ખાનગી માલિકી બાકીના સમુદાય સામે વિશેષાધિકાર આપતી હોય પણ તેમનો ઉપયોગ કયારેય મર્યાદિત ધોરણે કરવાની છૂટ નહોતી અપાઇ.

સંસ્થાનવાદ પૂર્વેના ભારતીય ગામમાં સિંચાઇની સામુહિક માલિકી અને ઉપયોગ નોંધપાત્ર છે. પ્રો. મુખરજી લખે છે કે સિંચાઇની વ્યવસ્થાને પગલે કોઇ પણ માણસને અસામાજિક વ્યવહાર રાખવાનું છોડી દેવાની ફરજ પડે અથવા તેનાં પરિણામ સહેવાં પડે. તે માણસોને એકબીજા સાથે વધુ ગાઢ આર્થિક સંબંધો બાંધવા દબાણ કરે છે. ખેતીના પરસ્પરના હક્કોના જતન માટે ભારતનાં ગામડાંઓના સમુદાયોમાં સૂક્ષ્મ કોમી સંબંધો છે. સંપત્તિના આપખુદ ઉપયોગને રોકવા ભારતે તળાવો અને નહેરોની સામુદાયિક માલિકી સ્થાપિત કરવાની કોશિશ કરી છે.

પ્રો. મુખરજી દલીલ કરે છે કે આ સામુદાયિક સમાન સંપત્તિના વ્યવસ્થાપનની પ્રથાને બ્રિટીશ સંસ્થાનવાદી શાસને હલકી ગણી હતી. સરકારના વન વિભાગ વન વિસ્તાર હસ્તગત કરી તેનો વેપારી હેતુઓસર ઉપયોગ કર્યો હતો અને તેનો પોતાના હેતુસર ગ્રામજનો ઉપયોગ કરે તો તેને ગુનો ગણ્યો હતો. તળાવો અને નહેરો પણ સરકારના હાથમાં પરિણામે જાહેર કામોમાંથી લોકોની બાદબાકી થઈ. હકીકતમાં પહેલાં લોકો જ આ બધો વહીવટ સંભાળતા હતા. પ્રો. રાધાકમલ મુખરજી આજે એક વિસરાયેલી વ્યકિત છે છતાં લખાણો આજે ભારત અને વિશ્વ જે પર્યાવરણ કટોકટી અનુભવે છે તેની સીધી વાત કરે છે. 1930માં સોશ્યોલોજીકલ રીવ્યૂમાં પ્રગટ થયેલા એક નિબંધ પર વિચારણા કરો. ‘એન ઇકોલોજીકલ એપ્રોચ ટુ સોશ્યોલોજી’ શીર્ષક હેઠળના આ નિબંધમાં પ્રો. મુખરજીએ જણાવ્યું છે કે પરંપરાગત સમાજવિજ્ઞાનમાં માનવીની ચિંતા થાય છે.

વૃક્ષો, પ્રાણીઓ, જમીન અને પાણીની કોઇ દરકાર જ નથી કરતું. આ બધાં પરિબળો પર માનવીની અસરની કોઇને ચિંતા નથી. બીજી તરફ ભૂગોળશાસ્ત્રીઓ અને સમતુલા વિજ્ઞાનીઓ માનવીની રોજી રોટીના સંદર્ભમાં ય પર્યાવરણના મહત્ત્વની વાત કરે છે. પ્રો. મુખરજીએ પશુપાલન પ્રવૃત્તિ સાથે પર્યાવરણની સુરક્ષાના અભાવની જે તે વિસ્તારના ઘાસ, છોડ, પાન વગેરે પર થતી માઠી અસરની વાત કરી છે અને જણાવ્યું છે કે માનવી કુદરતના ક્રમ સાથે ચેડાં કરવાની અદ્‌ભુત શકિત ધરાવે છે. તેને કાબૂમાં નહીં લેવામાં આવે તો વનસ્પતિ અને પ્રાણીઓની અમુક જાતિ લુપ્ત થઇ જશે અને જમીનની ફળદ્રુપતા ખોરવાઇ જશે.

તેમણે લખ્યું છે કે માનવી અને કુદરત એકબીજા પર આધાર રાખે છે. માનવી તેની સાથે બેફામ રીતે ચેડાં કરે તો તે ખૂબ જોખમી છે, માનવીએ તેમાં સંયમ રાખવો જોઇએ. આ વાત 1930માં તેમણે કરી હતી. રાધાકમલ મુખરજીએ સંયમ અને જવાબદારીની વાત કરી હતી. ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણથી આ વિપરીત વાત હતી. 1934માં તેમણે ‘ઇન્ડિયન જર્નલ ઓફ ઇકોનોમિકલ’માં એક લેખ લખી સમતુલા વિજ્ઞાન દ્વારા રોજી-રોજી પર મુકાતા નિયંત્રણની વાત કરી હતી અને કહ્યું હતું કે કુદરત સાથે છેડછાડની આર્થિક પ્રવૃત્તિ પર ગંભીર પરિણામ આવે છે.

ગંગાના મેદાન પર વનનો નાશ કરવાના અને ચરિયાણ જમીનને ઉજ્જડ કરવાથી ખીણ પ્રદેશ વધ્યો, જેનાથી ખેતી, વસવાટ અને વરસાદ પર માઠી અસર પડે છે. ભવિષ્યમાં ગંગાની ખીણના હાલ સિંધની ખીણ જેવા થાય તો નવાઇ નહીં. વરસાદની તંગીથી ઢોરઢાંખર દૂધ ઓછું આપે છે, કામ કરવામાં ઢીલ કરે છે. પ્રો. રાધાકમલ મુખરજીનો અભ્યાસ વ્યાપક હતો. પણ તેઓ પ્રકૃતિવિજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. તેમણે અર્થશાસ્ત્ર, કામદારો, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિઓનો ઇતિહાસ, ભારતીય કલા વગેરે વિષય પર કુલ 47 પુસ્તકો લખ્યાં હતાં. પણ તેમનું અર્પણ વીસરાઇ જઇ રહ્યું છે.

પર્યાવરણવાદનો જન્મ થયો તે પહેલાં તેઓ પર્યાવરણની ચર્ચા કરતા હતા. પર્યાવરણને સમાજશાસ્ત્રની સાથે જોનાર અને સમતુલા વિજ્ઞાનને અર્થશાસ્ત્ર સાથે સાંકળનાર તેઓ પ્રથમ હતા. તેઓ માનતા કે વિદ્વાનોએ બૌદ્ધિક કારણોસર પ્રકૃતિ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. મનુષ્યને પ્રકૃતિની નકલ કરવાની સલાહ આપવી જોઇએ. પ્રકૃતિ અને સમાજના તાણાવાણા જોડવા જોઇએ. 1938માં તેમણે એક પુસ્તકમાં લખ્યું હતું કે માનવ સમતુલાવિજ્ઞાન વ્યવહારમાં લવાય તો જ કાયમી સંસ્કૃતિની બાંહેધરી મળે. સમતુલા વ્યવહારને નૈતિક સ્તરે લઇ જવાય તેની હું રાહ જોઉં છું.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top