Dakshin Gujarat

નવસારી: પરિવાર નણંદની દીકરીના લગ્નમાં ગયો અને મામીએ ઘરમાં ફાંસો ખાઈ લીધો

નવસારી: (Navsari) ઓંજલ-માછીવાડ ગામે યુવતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • પરિવાર નણંદની દીકરીના લગ્નમાં ગયો અને મામીએ ઘરમાં ફાંસો ખાઈ લીધો
  • ઓંજલ-માછીવાડ ગામની ઘટના: પરિવાર લગ્નમાંથી પાછો ફર્યો ત્યારે ભાવિકાબહેન ટંડેલને ફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોઈને હતપ્રભ બની ગયા

મળતી માહિતી મુજબ, મૂળ ઓંજલ-માછીવાડ ગામે ગણેશ ફળિયામાં અને હાલ નવસારીના ઘેલખડી ગોપાલનગર માધવ પાર્ક સોસાયટીમાં ભાવિકાબેન નરેશભાઈ ટંડેલ (ઉ.વ. 37) તેમના પરિવાર સાથે રહેતા હતા. ભાવિકાબેન તેમની નણંદની દીકરીના લગ્ન હોવાથી ઓંજલ-માછીવાડ ગામે આવેલા ગણેશ ફળિયામાં આવેલા ઘરે ગયા હતા. જ્યાંથી તેમની નણંદ શર્મીલાબેનની દીકરી માટે તેઓના ઘરેથી મામેરું જવાનું હતું. પરંતુ ભાવિકાબેને તબિયત સારી ન હોવાનું જણાવી તેણીના લગ્નમાં ગઈ ન હતી. જેથી ભાવિકાબેન ઘરમાં એકલા હતા અને અન્ય પરિવારજનો લગ્નમાં ગયા હતા. દરમિયાન ભાવિકાબેન ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ ભાવિકાબેનને ફાંસીએ લટકેલી જોઈ તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. નણંદની દીકરીના લગ્નના દિવસે અશુભ ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આ બનાવ અંગે ગણેશભાઈ ટંડેલે જલાલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top