Dakshin Gujarat

ભરૂચમાં માવઠાની આગાહીએ મગના ખેડૂતોની ચિંતા વધારી, પાક નષ્ટ થવાનો ભય

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે અને તેમાં મગની ખેતીમાં મગનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વેપારીઓ મગની અલ્પ કિંમત મંગાતાં ખેડૂતોનો મગનો જથ્થો ઘર અને ગોડાઉનમાં પડી રહ્યો છે. અને આગામી ૧૦ દિવસમાં માવઠાની (Mavtha) આગાહીના પગલે સરકાર ખેડૂતોને ટેકાના ભાવ નક્કી નહીં કરે તો મગ બગડી જવાનો ભય સતાવી રહ્યો હોવાના પગલે ખેડૂતોએ મગ ખરીદ કરવામાં કેન્દ્રો શરૂ કરવા માંગ કરી છે.

  • ૯ તાલુકામાં ૩૦૦૦ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગની ખેતી કરી હતી
  • ભરૂચ જિલ્લામાં મગ ખરીદ કરવા માટેનાં કેન્દ્રો તાકીદે શરૂ કરવા ખેડૂતોની માંગ

ભરૂચના ૯ તાલુકામાં ૩૦૦૦ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગની ખેતી કરી હતી અને ફેબ્રુઆરીના અંતમાં મગનો પાક નહીંવત ઉતાર્યો હતો. પરંતુ સરકારે મગના ટેકાના ભાવ હજુ સુધી નક્કી ન કર્યા હોવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલો મગનો પાક ગોડાઉન અને મકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. સરકારનો જૂનો ભાવ ૭૨૦૦ રૂપિયા ચાલી રહ્યો છે, ત્યારે બજારમાં વેપારીઓ ૬૦૦૦ રૂપિયે મગ માંગી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને ટેકાના ભાવ પણ મળ્યા નથી. અને ટેકાના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં ન આવતાં અને ઓનલાઈન બુકિંગ અંગેની કોઈપણ જાતની જાહેરાત પણ ન કરવામાં આવતાં આજે મગની ખેતી કરનાર ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.

સરકાર દ્વારા આગામી દસ દિવસમાં ખેડૂતોનો મગના પાકનો ટેકાનો ભાવ નક્કી કરવામાં નહીં આવે અને હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે ૧૦ દિવસ સુધીમાં મગના પાકને જો માવઠાની અસર થશે તો મગનો પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે. ત્યારે ખેડૂતોના પેટ ઉપર પાટું મારતું માવઠું સાબિત થાય તો નવાઈ નહીં. જેથી ભરૂચ જિલ્લામાં મગ ખરીદવા માટેના ખરીદ કેન્દ્રો તાકીદે ખોલવા માટે ‘ભરૂચ-નર્મદા જિલ્લા ખેડૂત સમાજ’ના પ્રમુખ હસુ અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે.

Most Popular

To Top