National

સુરતમાં એકસાથે 74 મુમુક્ષોની સામુહિક દીક્ષા થશે, આ વિસ્તારમાં ભવ્ય આધ્યાત્મનગરીનું નિર્માણ કરાયું

સુરત : વેસુમાં બલ્લર હાઉસ સ્થિત આગામી 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં સણવાલ ના સંઘવી પરિવાર લાભાન્વિત ભવ્ય ઉપધાન ચાલી રહ્યાં છે તેજ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર, સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં, દીક્ષાધર્મ ના મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય વાણીના પ્રભાવે થનારી 74 સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 4 લાખ સ્કવેર ફીટના વેસુના બલ્લર હાઉસમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ થયું છે. જેમાં 1.10 લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. 50 હજાર લોકોને બેસાડીને સાધર્મિકભક્તિ થઈ શકે તેવી એક બીજી નગરી બની રહી છે. છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે.

દીક્ષાર્થીઓનાં સાર્થવાહ જૈનાચાર્ય યોગતિલકસૂરીજી મહારાજાનું આ મહામહોત્સવ અંગે અતિસૂક્ષ્મ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવાયુ છે. દિક્ષાર્થીઓનાં અંતિમ વાયણામાં દિક્ષાર્થીઓ લોકો દ્વારા આપવામાં આવેલી સાકરનું પાણીથી અંતિમ વાયણા કરશે. પરિવાર સિવાય મોટાભાગે આ લાભ કોઈને મળતો નથી પણ સુરતમાં પહેલીવાર અન્ય લોકોને પણ આ રીતે દિક્ષાર્થીઓને વાયણું કરાવવાનો લાભ મળશે. તા-25 મી નવેમ્બરથી ત્રણ દિવસ સાકર સ્વીકારવામાં આવશે અને સાકર આપનારને સ્મૃતિભેટ અપાશે. નોંધનીય છે કે પ્રભુવીર દીક્ષા કલ્યાણક કારતક વદ 10,29 નવેમ્બરે 74 સિંહસત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે.

10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે

સુરતના બાળકોને,બાળસંસ્કરણ હેઠળ નિયમાવલી આપવામાં આવશે અને આ રીતે આરાધના કરનારા દરેક બાળકોનું બહુમાન કરાશે. ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવાનો લાભ આપવામાં આવશે. ઘરથી ઉત્સવ સ્થળ સુધી બસ લઇ જશે અને મૂકી જશે. આવવા જવાની તકલીફના કારણે કોઈ ઉત્સવથી વંચિત ન રહી જાય એ હેતુથી આ આયોજન કરાયું છે અને 10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે.

કેશલૂંચનનો અભૂતપૂર્વ માહોલ સાથે ઉત્સવના આ આકર્ષણ કાયમી સંભારણું બનશે

દીક્ષા ઉત્સવ દરમિયાન અંતિમ રજોહરણપ્રદાન દિવસે કેશલૂંચનના અવસરનો માહોલ ક્યારેય નિહાળ્યો નહિ હોય એવો હશે. આ સાથે અઘ્યાત્મ નગરીમાં ચાર ગતિ બતાવતું અસાર સંસારચક્ર અકલ્પનિય રચનાવલી પણ સુરતવાસીઓ પ્રથમવાર નિહાળશે તો બાલવાટિકામાં બાળકોનું ભરપૂર સંસ્કરણ પણ થશે. અતિભવ્ય કલાકૃતિથી કંડારેલું કાચનું જિનાલય જોનારનું મન મોહી લેશે.

Most Popular

To Top