India

ફલતા વિધાનસભા પુનર્મતદાનમાં BJPની બમ્પર લીડ,

મેદાન છોડનાર TMC ઉમેદવાર જહાંગીર ખાનને મળ્યા માત્ર 1,405 મત:ચાર રાઉન્ડની ગણતરી બાદ BJP ઉમેદવાર દેવાંશુ પાંડા 14 હજારથી વધુ મતોથી આગળ,પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાયો માહોલ

પશ્ચિમ બંગાળની ચર્ચાસ્પદ ફલતા વિધાનસભા બેઠક પર થયેલા પુનર્મતદાનની મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)એ જોરદાર લીડ મેળવી છે. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ચાર રાઉન્ડ પૂર્ણ થતાં BJP ઉમેદવાર દેવાંશુ પાંડા જીત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર જહાંગીર ખાનને લઈને થઈ રહી છે. કારણ કે રી-પોલિંગ પહેલા જ તેમણે ચૂંટણી મેદાનમાંથી હટી જવાની જાહેરાત કરી દીધી હતી. તેમ છતાં તેમનું નામ EVMમાં યથાવત રહેતાં તેમને કુલ 1,405 મત મળ્યા છે.

ચાર રાઉન્ડ બાદ BJPને 14 હજારથી વધુ મતની લીડ
ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, અત્યાર સુધી પૂર્ણ થયેલા ચાર રાઉન્ડની ગણતરીમાં BJP ઉમેદવાર દેવાંશુ પાંડાને કુલ 25,438 મત મળ્યા છે.જ્યારે CPI(M) ઉમેદવાર શંભુનાથ કુર્મીને 11,345 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર અબ્દુર રજ્જાકને 2,996 મત મળ્યા છે. વહી TMC ઉમેદવાર જહાંગીર ખાનને માત્ર 1,405 મત મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ BJP ઉમેદવાર 14,093 મતોથી આગળ ચાલી રહ્યા છે.

જહાંગીર ખાનના ચૂંટણી છોડવાના નિર્ણયથી બદલાયું આખું સમીકરણ
ફલતા બેઠક પર 21 મેના રોજ યોજાયેલા પુનર્મતદાન પહેલા જ TMC ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણીમાંથી હટી જવાની જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિર્ણય બાદ ચૂંટણીનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું.તૃણમૂલ કોંગ્રેસે આ નિર્ણયને જહાંગીર ખાનનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો અને પાર્ટીએ સત્તાવાર રીતે આ મામલાથી અંતર જાળવ્યું હતું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાના કારણે BJP માટે ફલતા બેઠક જીતવી વધુ સરળ બની ગઈ.

કેમ કરાવવું પડ્યું હતું પુનર્મતદાન?
29 એપ્રિલે યોજાયેલા મૂળ મતદાન દરમિયાન EVM મશીનોમાં પરફ્યુમ (ઇત્ર) જેવી વસ્તુઓ અને એડહેસિવ ટેપ લગાડવાના આરોપો સામે આવ્યા હતા. વિરોધ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.આ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે મામલાની તપાસ કર્યા બાદ ફલતા બેઠક પર ફરી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.

ભારે સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું મતદાન
21 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પુનર્મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા.ફલતા વિસ્તારના કુલ 285 મતદાન મથકો પર કેન્દ્રીય સુરક્ષા દળોની 35 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. આખો દિવસ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી હતી.સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 86.11 ટકા મતદાન નોંધાયું હતું, જે પહેલા થયેલા મતદાન કરતાં થોડું ઓછું રહ્યું હતું.

BJPની બેઠક સંખ્યા વધવાની શક્યતા
જો BJP ફલતા બેઠક જીતે છે તો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પાર્ટીની કુલ બેઠકોની સંખ્યા 207 સુધી પહોંચી શકે છે.
હકીકતમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ 207 બેઠકો પર જીત મેળવી હતી. જોકે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ અને ભવાનીપુર—બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત મેળવી હતી. પછી તેમણે નંદીગ્રામ બેઠક પરથી રાજીનામું આપતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.

ફલતા બેઠકનું પરિણામ પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે મહત્વપૂર્ણ
ફલતા બેઠકનું પરિણામ માત્ર એક પેટાચૂંટણીનું પરિણામ નથી માનવામાં આવતું, પરંતુ તેને પશ્ચિમ બંગાળના રાજકીય માહોલ સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યું છે.એક તરફ BJP આ જીતને પોતાની વધતી લોકપ્રિયતા તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ TMC માટે આ બેઠક પરનો નબળો દેખાવ રાજકીય ચિંતાનો વિષય બની શકે છે.હાલ સમગ્ર રાજ્યની નજર અંતિમ પરિણામ પર ટકેલી છે અને આગામી કલાકોમાં ફલતા બેઠકનું સત્તાવાર પરિણામ જાહેર થવાની શક્યતા છે.

Most Popular

To Top