SURAT

પ્રેમિકાએ જ્યાં આપઘાત કર્યો પ્રેમી પણ ત્યાં જ લટકી ગયા, અલથાણના ઝાડ પર બે યુવકોના મૃતદેહ મળ્યા

સુરત: શહેરના અલથાણ વિસ્તારમાં પર ઝાડ પર લટકીને બે દિવસ પહેલાં બે યુવતીએ આપઘાત કર્યો હતો, તે જ ઝાડ પર લટકી આજે બે યુવકોએ આપઘાતની ઘટના બની છે. આ ચારેય યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હતા. પ્રેમિકાની પાછળ પ્રેમી યુવકોના આપઘાતના પગલે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ભગવાન મહાવીર કોલેજ પાસેના એક ઝાડ પરથી બે યુવકોના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા મૃતકોના નામ નરેન્દ્ર અને પુષ્કર હોવાનું બહાર આવ્યું હતું. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા.

એસીપી ઝેડ.આર. દેસાઈએ કહ્યું કે, બે દિવસ અગાઉ બે યુવતીઓએ આપઘાત કર્યો હતો ત્યાં જ બે યુવકોના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને યુવકોએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક સ્તરે લાગી રહ્યું છે. બે દિવસ પહેલાં જે યુવતીઓએ આપઘાત કર્યો તે બંને સાથે આ યુવકોને સંબંધ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

બે દિવસ પહેલાં બે યુવતીઓએ આપઘાત કર્યો હતો
અલથાણમાં બે દિવસ અગાઉ બે યુવતીઓએ ઝાડ પર લટકી ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. 20 વર્ષીય નિલમ રાજેશ વર્મા અને તેની 18 વર્ષીય પિતરાઈ બહેન રોશની રાકેશ વર્માના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા હતા. બંને યુવતીઓ સફાઈ કામ કરતી હતી. બંનેના પિતા સિક્યુરીટી ગાર્ડ છે. રવિવારે બંને કામ પર જવા નીકળી હતી. કામના સ્થળેથી માસીના ઘરે ગઈ હતી. થોડા સમય બાદ બંને ત્યાંથી પણ નીકળી ગઈ હતી. કામના સ્થળે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. બાદમાં પરિવારે અલથાણ પોલીસમાં ગુમ થવાની ફરીયાદ કરી હતી.

દરમિયાન સોમવારે સવારે સેકન્ડ વીઆઈપી રોડ ફુડ કોર્ટ પાસે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં બંનના મૃતદેહ મળ્યા હતા. આજે તે જ જગ્યા પર બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને યુવકોએ ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. બંને યુવકો બે દિવસ અગાઉ આપઘાત કરનાર યુવતીના પ્રેમી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Most Popular

To Top