SURAT

સુરત એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવી એ પાયલોટ માટે માથાના દુ:ખાવા સમાન કામ, આકાશમાં વિમાન લઈ કેમ ચક્કર મારવા પડે છે જાણો

સુરત: સુરત એરપોર્ટના (Surat Airport) ડેવલપમેન્ટ (Development) પ્લાન પ્રમાણે ૩૫૭ કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ (Terminal building expansion), એપ્રન અને ટેકસી-વે ના કામ (Apron and taxiway work) ૨૦૨૧ના અંતમાં અથવા ૨૦૨૨ ના પ્રથમ કવાર્ટરમાં પુરા થવા જોઇતા હતા તેને બદલે આ કામો પૈકી એપ્રન અને ટેકસી-વેનું ૧૫૦ કરોડથી વધુનું સંયુકત કામ ૨૦૨૨ માં પણ પુરું થાય તેવું લાગતું નથી. કોવિડને (Covid) કારણે ટર્મિનલ બિલ્ડિંગનું કામ થોડું લંબાયા પછી હવે પૂર્ણ થવાને આરે છે. આ પ્રોજેકટ પહેલા એપ્રન અને ટેકસી-વેનું કામ પૂરું થઇ જવું જોઇતું હતું પરંતુ તે નહીં થતાં પ્રોજેકટ ડીલે થવા માટે એરપોર્ટના પ્રોજેકટ ઇન્ચાર્જે એપ્રન અને ટેકસી-વે ના ઇજારદારને નોટિસ ફટકારી છે.

  • ટેકસી-વે અને એપ્રનના ઇજારદારે ફેઝ-૧ નું કામ પુરું ન કર્યું અને ફેઝ-૨ નું શરૂ નહીં કરતાં વિવાદ

તા. ૨૯-૧૧-૨૦૨૧ ના રોજ ફટકારવામાં આવેલી આ નોટિસમાં (Notice) સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોવિડને લીધે ઇજારદારને (Contractor) વર્ક એક્સટેન્શન આપવામાં આવ્યું હતું તે પછી બીજીવાર મોનસૂનને લીધે મુદતમાં વધારો કરાયો હતો. અને એ પછી ઇજારદારે દિવાળી વેકેશનને લીધે કારીગરો મળતા નથી તેવું કારણ આપી કામ પુરુ કરવામાં મુદતમાં વધારો માંગ્યો હતો. અને તા. ૧૬-૮-૨૦૨૧ ના રોજ પ્રોજેકટ ઓફિસરને ઇજારદારે વર્ક પ્લાન આપ્યો હોવા છતાં ફેઝ-૧ નું કામ પૂરુ કર્યું નથી. અને જયાં ફેઝ-૨ નું કામ શરૂ પણ કર્યું નથી. દિવાળી વેકેશનને પણ ૧ મહિનો થવા છતાં વર્કપ્લાન પ્રમાણે કામ ન થતાં પ્રોજેકટ ઇન્ચાર્જે ઇજારદારને નોટિસ ફટકારી ઉત્તર માંગ્યો છે.

સુરત એરપોર્ટ પર નવી નવી એરલાઇન્સના ઉમેરા સાથે ફલાઇટ સંખ્યા વધતા રનવે પર ફલાઇટ હેન્ડલિંગ કેપેસિટી વધારવાની જરૂર છે. પરંતુ ટેકસી-વે નું કામ વિલંબમાં મુકાતા એક જ સમયે ૩-૪ ફલાઇટ સુરત એરપોર્ટ નજીક પહોંચે છે ત્યારે પાઇલટસને વિમાન લેન્ડિંગ કરાવવા આકાશમાં ચકરાવો લેવો પડે છે. જેને લીધે એરલાઇન્સ ઇંધણનો વધારે ખર્ચ થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી રહી છે. જો આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો એરલાઇન્સ તેની કેટલીક ફલાઇટ રદ કરી શકે છે.

૩૫૭ કરોડના પ્રોજેકટના ખાતમુહુર્ત વખતે વડાપ્રધાને કામ સમયસર પૂર્ણ થશે તેવી ખાતરી આપી હતી

૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી વખતે સુરત એરપોર્ટના હોલિસ્ટીક ડેવલપમેન્ટના ૩૫૭ કરોડના ત્રણ પ્રોજેકટ સમયસર પૂરા થશે તેવી ખાતરી સુરત એરપોર્ટ પર યોજાયેલા ખાતમુહુર્ત દરમિયાન આપી હતી. તેમણે ત્યારે એવું કહ્યું હતું કે અમે જે કામનું ખાતમુહુર્ત કરીએ છીએ તે કામ સમયસર લોકાર્પણ પણ કરીએ છીએ. પરંતુ એપ્રન અને ટેકસી-વે ના કામ માટે એરપોર્ટના અધિકારીઓ અને ઇજારદાર વડાપ્રધાનની ખાતરીને પણ ધોળીને પી ગયા છે. નવાઇની વાત એ છે કે સુરત એરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન સાંસદ સી.આર. પાટીલની સતત ચેતવણી છતાં કોન્ટ્રાકટર હજી ફેઝ-૧ નું કામ પુરુ કરી શકયો નથી. ફેઝ-૨ નું કામ કેટલા વર્ષે પુરુ થશે તે પણ નકકી નથી.

૨૦૨૧ ના વર્ષમાં સુરત એરપોર્ટ પર પેસેન્જર સંખ્યા ૧,૩૫,૫૦૩ નોંધાઇ

સુરત એરપોર્ટ ડાયરેકટરે ટ્વીટ કરી માહિતી આપી છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન સુરત એરપોર્ટથી ૧,૩૫,૫૦૩ પેસેન્જરોની અવર જવર નોંધાઇ છે. ૭૦૦૮૦ જેટલા પેસેન્જરો જુદા જુદા શહેરોમાંથી સુરત એરપોર્ટ આવ્યા હતા. અને ૬૫૪૨૩ પેસેન્જરો સુરતથી રવાના થયા હતા. આ આંકડો માત્ર શિડયુલ ફલાઇટનો આપવામાં આવ્યો છે. નોન શિડયુલ ફલાઇટના પેસેન્જરોની આવર જવરનો આંકડો ઉમેરવામાં આવે તો કુલ પેસેન્જરોની સંખ્યા દોઢ લાખને પાર થઇ શકે છે.

Most Popular

To Top