Gujarat Main

ખલીલ ધનતેજવી: ખેતરનો માણસ શહેરમાં સૂઈ ગયો

અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં

ગયા રવિવારે, ૮૨ વર્ષની વયે જન્નતનશીન થયેલા ગુજરાતી ગઝલના અંતિમ પહેરેદાર, ખલીલ ધનતેજવીની જો કોઈ આત્મકથા કે જીવનચરિત્ર હોય, તો તેનું શીર્ષક ‘ખેત સે રાશન તક’ એવું રાખી શકાય. તેમની જિંદગીની સફર એટલી જ છે; ગામના ખેતરમાંથી શરૂ થાય છે, અને રાશનપાણી માટે શહેરમાં ખતમ થાય છે. વચ્ચે કવિતા અમસ્તી જ આવી ગઈ!
કવિતા કેવી રીતે આવી તે તેમણે લખ્યું પણ છે. ૨૦૧૬માં, ખલીલભાઈએ તેમની કારકિર્દીની કથા નામે ‘સોગંદનામું’ લખ્યું હતું. તેમણે આત્મકથા લખવાનું ટાળ્યું હતું. કેમ? તેમના શબ્દોમાં, “આત્મકથા લખવા માટે પોતાની આસપાસનું ઝીણું-જાડું, સારું-નરસું, ગમતું-અગમતું બધું જ સમેટી લેવું પડે! કેટલાક માણસોએ પ્રોત્સાહિત કર્યો હોય ને કેટલાકે પજવ્યો પણ હોય તો એ બધાના નામોલ્લેખ સાથે કોણે, કયારે, ક્યા પ્રકારની પજવણી કરી એ બધું સ્પષ્ટ લખવું પડે, ને એમાં મોટાભાગે નિકટના જ માણસો આવી જતા હોય. એટલા માટે આત્મકથા લખવાનું પડતું મૂક્યું. પજવનારાઓને ય પડતા મૂક્યા.”
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફળિયાવાળા, ભેંસોવાળા, હાથેથી દળવાની ઘંટીવાળા, ચુલાવાળા, નદીએ બેડાં ભરવાવાળા, છાણ-વાસીદુંવાળા અને ખેતરમાં ચાર કાપવાવાળા ધનતેજ ગામમાં સૂર્યોદય પહેલાં ખલીલભાઈનો જન્મ. “મારા જન્મ પછી જ સૂરજ ઊગ્યો હતો.” ખલીલભાઈ લખે છે, ” અર્થાત હું અંધારામાંથી અજવાળામાં આવ્યો, એ પછી જ જગતને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયો હતો.” એ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ની રોજ હતી.
તેમનું નામ ખલીલ તેમના દાદા તાજ મહંમદે પાડ્યું હતું. તેમના મૌલવીને ખલીલ અધૂરું લાગ્યું, એટલે પાછળ ઈબ્રાહીમ જોડ્યું; ખલીલ ઈબ્રાહીમ. ખલીલ એટલે મિત્ર અને ઈબ્રાહીમ એટલે હજરત મોહંમદ પયગંબરના પુરોગામી સત્તરમી પેઢીના પયગંબર ઈબ્રાહીમ. ખલીલભાઈ કહે છે, “સમય જતાં ઈબ્રાહીમ અને ખલીલ છૂટા પડી ગયા. વર્ષો પછી ખલીલની આભા નીચે ઈબ્રાહીમ ઢંકાઈ ગયો અને ખલીલ પંકાઈ ગયો.”
ખલીલભાઈ પંકાયા કવિતા-ગઝલથી. ખલીલભાઈ ગુજરાતના આટલા મોટા શાયર થયા, તેની પાછળ સાહિત્યની કેટલી બધી સમૃદ્ધિ હશે એવો આપણને વિચાર આવે, પણ હકીકત એ છે કે તેમના બેકગ્રાઉન્ડમાં દૂર-દૂર સુધી સાહિત્યનાં સગડ નથી. ખલીલભાઈ લખે છે, “મારા ગામમાં પાંચ હજાર વર્ષ પૂર્વેય કોઈ લેખક કે કવિ થયો હોવાની કોઈ ભાળ મળતી નહોતી! મારા સમવયસ્કો કે સમકાલીનોમાંય કોઈ લેખક-કવિ નહોતો!”
તેમણે કિશોરાવસ્થામાં એક વાર તેમના દાદાને ચાર પંક્તિઓ સંભાળવી હતી, તો દાદાએ ખુશ થઈને પૂછ્યું, “ક્યાંથી ઉતારી લાવ્યો છે?”
“ઉતારી નથી!” કિશોર ખલીલે કહ્યું, “આપમેળે જ ઊતરી છે!”
દાદા વિસ્મયથી જોતા રહી ગયા અને રહસ્ય ખોલ્યું, “તારા બાપાને પણ શાયરીનો શોખ હતો. એણે શાયરીની આખી ડાયરી ભરી છે.” એ ડાયરી જડી તો તેમાં મિર્ઝા ગાલિબ, મોહમ્મદ ઈબ્રાહીમ ઝૌક, મીર-તકી-મીર, મિર્ઝા મોહમ્મદ રફી સૌદા જેવા ધુરંધર શાયરોની શાયરીઓ હતી.
ખલીલભાઈ (ઉપર જે શેર લખ્યો છે તે પ્રમાણે) ખેતરના માણસ. બીજું કશું ન આવડે, પણ જે આવડતું હતું એમાં તેમનો એટલો ઝપાટો હતો કે ગામમાં એ સૌથી તેજ યુવાન કહેવાતા. એમાં કવિતા કેવી રીતે આવી, તેનું વિસ્મય તેમને પણ છે. એ લખે છે-
“ગામમાં મને સૌથી નોખો તારવી આપતી બાબતોમાં એક તો ખેતરમાં સીધા ચાસ કાઢવાની બાબત, નદીના પૂરમાં તરવાની બાબત અને જાનમાં સૌથી મોખરે ડમણિયું લઈ જવાની બાબત! આમાં ચોથી બાબત ઉમેરાય છે, તે છે કવિતા! કવિતા મારામાં અણધારી અને ઓચિંતી આવી હતી. કવિતાની પહેલી પંક્તિ આવી ત્યારે હું ખેતરના શેઢે ચાર વાઢતો હતો અને મારા હાથમાં કલમને બદલે દાતરડું હતું! હું કવિતાને ઓળખતો નહોતો એટલે કવિતાને શોધવા પણ ગયો નહોતો! કવિતાની મને જરૂર પણ નહોતી. ખેતર, ખેતરનો શેઢો, ચાર વાઢવાની તલ્લીનતા અને દાતરડું! આમાં કવિતાનું ગૌત્ર મારે ક્યાં શોધવું!”
કદાચ અંગત અને સહિયારા જીવનમાં તેમણે અકસ્માતો અને ગરીબી બહુ જોઈ હતી એટલે એ વેદના શબ્દો મારફતે વ્યક્ત થઇ હશે. બાર વર્ષની ઉંમરે, ચોથું ધોરણ પાસ કરીને, તેઓ ખેતરમાં જોતરાઈ ગયા હતા. એ લખે છે, “બાળપણ તો હું ક્યારનું ગુમાવી ચૂક્યો હતો. કિશોરાવસ્થાને પણ એને જોઈતી ધીંગામસ્તી હું આપી શક્યો નહીં. ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નહીં. સમય કરતાં થોડો વહેલો હું મોટો થઇ ગયો! મારું બાળપણ ખેતરમાં રગદોળાયું! નદીના પૂરમાં તણાયું! મારી કિશોરાવસ્થા દામ્પત્યજીવનની રજાઈમાં ઢબુરાઈ ગઈ! હું ભરપૂર રીતે બાળપણને માણી શક્યો નહીં! કિશોરાવસ્થાને ઓળખવાનોય સમય મળ્યો નહીં અને ઊંચકીને લગ્નજીવનના સમુદ્રમાં ધકેલી દેવાયો! કિશોરાવસ્થામાં જ હું પ્રૌઢ પુરુષ બની ગયો!”
એ જીવનને પાટે ચઢાવવા માટે ખલીલભાઈ શબ્દોના સહારે પૈસા કમાવા માટે વડોદરા આવ્યા અને ખેતર છૂટી ગયું. તેમણે અખબારમાં કામ કર્યું, સામાયિક શરૂ કર્યું, વાર્તાઓ લખી, ગઝલસંગ્રહો બહાર પાડ્યા, નાટકો લખ્યાં ફિલ્મો (ખાપરો-ઝવેરી, ડોકટર રેખા, છૂટાછેડા, નગરવધૂ, તુલસી જેવી દીકરી. ચૂંદડી ચોખા) બનાવી. આ વ્યવસાયિક જદ્દોજહદ (તેમણે ગામેગામ ફરીને કાપડ પણ વેચ્યું હતું) અને બીમારીઓ થતા પ્રિયજનોની વસમી વિદાયની પીડાઓ તેમની ગઝલોમાં વ્યક્ત થતી રહી.
ખલીલભાઈ લખે છે, “વેદનાને વિસારે પાડવા કલમનો સહારો લીધો. જાત વિશે વિચારવાને બદલે કવિતા માટે વિચારવા માંડ્યું. એમાંય પેલું દુઃખ ડોકિયાં કરી જાય છે. મેં કવિતાથી શરૂઆત કરી હતી પણ ત્યાં સીમિત ન રહ્યો. મેં ‘જાસાચિઠ્ઠી’ સિવાય બધું જ લખ્યું છે. હું મારા મનમાં રૂંધાતી વેદનાને વ્યક્ત કરવા લખું છું. અજાણ્યા અને અણધાર્યા વળાંકો મારા માર્ગમાં એક પછી એક આવતા ગયા અને હું એ વળાંક ઓળંગીને આગળ વધતો જ રહ્યો.” ગયા રવિવારે ખલીલભાઈ છેલ્લા વળાંક પરથી ગાયબ થઇ ગયા!
વર્ષો પહેલાં પેલી ગઝલમાં તેમણે બીજો પણ એક શેર લખ્યો હતો:
અપની નીંદો કા લહૂ પોંછને કી કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં સો જાતા હૂં

Most Popular

To Top