National

‘…તો હું ભાજપ કાર્યાલયમાં સુરક્ષા માટે અગ્નિવીરોને રાખીશ’, કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી ભારે હંગામો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ (Aganipath) યોજનાને (Yojana) લઈને યુવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દેશભરમાં આ યોજના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓ (Party) સતત સરકાર પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન ભાજપના (BJP) રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ (Kailash Vijayvargiya) આ અંગે વિવાદાસ્પદ નિવેદન (Statement) આપ્યું છે. તેમણે કહ્યું કે જો મારે પણ ભાજપના કાર્યાલયમાં સુરક્ષા (ગાર્ડ) રાખવા પડશે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ. તેમણે કહ્યું કે અમેરિકા, ચીન અને ફ્રાન્સમાં કોન્ટ્રાક્ટના આધારે સેનાની ભરતી કરવામાં આવે છે. અમારી પાસે સેનામાંથી નિવૃત્તિની ઉંમર વધારે છે. સરકારે તેને ઘટાડવાનો નિર્ણય લીધો છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના નિવેદન પર આખું રાજકારણ ગરમાયું છે. કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, દેશના યુવાનો અને સેનાના જવાનોનું આટલું અપમાન ન કરો. આપણા દેશના યુવાનો દિવસ-રાત મહેનત કરીને ફિઝિકલ પાસ કરે છે, ટેસ્ટ પાસ કરે છે, કારણ કે તેઓ સેનામાં જઈને આખી જિંદગી દેશની સેવા કરવા માગે છે, એટલા માટે નહીં કે તેઓ ભાજપ કાર્યાલયની બહાર ચોકીદાર બનવા માગે છે.

કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ રવિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ‘સત્યાગ્રહ’ યોજ્યો હતો, જેમાં સશસ્ત્ર દળોમાં ભરતી માટે કેન્દ્રની નવી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે એકતા દર્શાવી હતી. કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે અગ્નિપથ યોજના દેશના યુવાનો માટે ફાયદાકારક નથી અને તે રાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.

તે જ સમયે, કેન્દ્ર સરકારે શનિવારે ‘અગ્નિપથ’ યોજનાના વિરોધ વચ્ચે અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ મંત્રાલયોની નિમણૂંકમાં ‘અગ્નિવીર’ માટે 10 ટકા આરક્ષણની જાહેરાત કરી હતી, તેમજ અન્ય ઘણી સુવિધાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના પરત ખેંચી લેવા માટે વિરોધ પક્ષોના દબાણ અને રાજ્યોમાં હિંસક વિરોધ વચ્ચે, કેન્દ્રએ પણ નવી સૈન્ય ભરતી યોજના અંગેની ચિંતાઓ અને ફરિયાદોને ખુલ્લા મનથી ધ્યાનમાં લેવાની ઓફર કરી હતી. તેમજ સેનાના વડા તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ ભરતી હવે પરત ખેંચાશે નહીં. 24 જૂનથી વાયુસેના વેબસાઈટ પર ભરતી પ્રક્રિયા શરૂ કરશે.

Most Popular

To Top