Comments

ડિજિટલ રૂપિયા માટે આ સમય યોગ્ય છે?

આ મહિનાથી ભારતીય રીઝર્વ બેંક પોતાનો એક પાઇલોટ પ્રોજેકટ શરૂ કરે છે, જે અન્વયે તે સામાન્ય માનવીના હાથમાં ડિજિટલ રૂપિયો અથવા ઇ-રૂપિયો મૂકશે. મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર આ ચાર શહેરોના વેપારીઓના અને ગ્રાહકોનાં જૂથોને આ ડિજિટલ ચલણ અપાશે, જેથી તેઓ રોકડની જેમ તેનો વ્યવહાર કરી શકશે. પછી આ પ્રોજેકટને અમદાવાદ, ગંગટોક, ગુવાહાતી, હૈદ્રાબાદ, ઇન્દોર,કોચી, લખનૌ, પટણા અને સિમલામાં લંબાવવામાં આવશે અને તે સાથે ભારત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા બી.સી.ડી.સી. તરીકે જાણીતા ચલણને અજમાવવાની કોશિશ કરતા પંદર દેશોના જૂથમાં જોડાશે.

આ ડિજિટલ ચલણ શું છે? તે ડિજિટલ સ્વરૂપમાં ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પડાયેલું કાયદેસરનું જ ચલણ છે. તે ભારતીય રીઝર્વ બેંકનો આદેશ ધરાવતા અન્ય ચલણ જેવું જ છે અને તેને આદેશાત્મક ચલણ સાથે આપ-લે કરી શકાય છે. માત્ર તેનું સ્વરૂપ જ અલગ છે. તે ભૌતિક સ્વરૂપના ચલણ જેવું કાગળ કે પોલીમરનું નથી બનેલું. આપ-લે કરી શકાય તેવું કાયદેસરનું ચલણ છે જેના માટે ધારણ કરનારનું બેંકનું ખાતું હોવું જરૂરી નથી. તે ભારતીય રીઝર્વ બેંકની બેલેન્સ શીટ પર લોકોમાં ફરતા ચલણ તરીકે જવાબદારી તરીકે ગણાશે.

ઇ-રૂપિયો રીઝર્વ બેંક પર એક દાવાના સ્વરૂપમાં ડિજિટલ ટોકન સ્વરૂપે ચલણમાં રહેશે. તે કોઇ પણ ચલણી નોટના સ્વરૂપમાં ડિજિટલ સ્વરૂપે રહેશે અને ઇલેકટ્રોનિક રીતે તેને એક ધારકથી બીજા ધારકને તબદીલ કરી શકાશે. ડિજિટલ ચલણ બેરર ચેક જેવું ગણાશે અને બેંક નોટની જેમ જેની પાસે તે હશે તે સમયે તે તેનો માલિક ગણાશે. આ પાઇલોટ પ્રોજેકટમાં આઠ બેંકો ભાગ લેશે. ભારતીય સ્ટેટ બેંક, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અને યસ બેંક તથા આઇ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકને પહેલા તબક્કામાં પ્રથમ ચાર શહેરોમાં આ પ્રોજેકટમાં જોડવામાં આવશે. પછી બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇંડિયા, એચ.ડી.એફ.સી. બેંક અને કોટક મહિન્દ્રા બેંકને જોડવામાં આવશે. પાઇલોટનું ફલક પછી ધીરે ધીરે વધુ બેંકો, વપરાશકારો અને સ્થળોને આવરી લેશે.

ડિજિટલ રૂપિયો યુ.પી.આઇ.થી અલગ કઇ રીતે છે? યુ.પી.આઇ.ની લેવડદેવડને બંને બેંકોનાં ખાતામાં નોધ કરવાની રહે છે. ડિજિટલ રૂપિયો રોકડનું સ્થાન લેવાની નેમ રાખે છે અને તે પોતે જ એક ચલણ છે અને તેની તમારા બેંકના ખાતામાં નોંધ નહીં થાય અને તેનો હિસાબ રીઝર્વ બેંક કેન્દ્રીય રીતે રાખશે. આમ છતાં ગુગલ પે અને પેટીએમ જેવી યુ.પી.આઇ. આધારિત એપ્સને રોજિંદી અને લેવડદેવડ દીઠ ખર્ચમર્યાદા હોય છે, પણ ડિજિટલ રૂપિયા કેટલા આપણી પાસે રાખી શકાય તેવી કોઇ મર્યાદા રીઝર્વ બેંકે નથી રાખી, પણ રૂા. બે લાખથી વધુ રકમની ડિજિટલ રૂપિયાની લેવડદેવડની કરવેરાના મામલે જાણ કરવાની રહેશે.

હું ડિજિટલ રૂપિયા કઇ રીતે મેળવી શકું?
વપરાશકારો રીઝર્વ બેંકની માન્યતાવાળી બેંકોમાંથી ડિજિટલ ચલણ ખરીદી શકે છે. આવી બેંકમાં ખાતું ન હોય તો પણ ઇ-રૂપિયા ખરીદી શકાય છે. જાણે તમારા બેંક ખાતામાંથી રોકડા પૈસા ઉપાડવા જેવું છે. જેમાં રોકડ આપવાને બદલે બેંકો તમને ઇ-રૂપિયા જમા આપશે. પછી તમે તેમને પરંપરાગત ચલણની જેમ લેવડદેવડ કરી શકો છો.

ડિજિટલ રૂપિયામાં મૂડી રોકાણ થઇ શકે કે કેમ અને ઇ-રૂપિયાની લેવડદેવડ રોકડથી કઇ રીતે અલગ હોઇ શકે?
નિયમિત ચલણની જેમ ડિજિટલ રૂપિયાની થાપણ પર કોઇ વ્યાજ નહીં મળે. તેથી તે રોકાણનું સાધન નથી, બલ્કે લેવડદેવડનું સાધન છે છતાં ઇ-રૂપિયો પણ ચાલુ રૂપિયા જેટલી જ ગુપ્તતા રાખવાનું ધ્યેય રાખે છે. બેંકોને સૂચના અપાઇ છે કે રૂા. 50000થી ઓછી રકમની લેવડદેવડની નોંધ નહીં કરવી.

ડિજિટલ રૂપિયાના ફાયદા ગેરફાયદા શું?
સરકાર માટે ડિજિટલ રૂપિયાને કારણે રોકડ ચલણ છાપવાનો અને બહાર પાડવાનો ખર્ચ ઘટી જશે. તે સાથે રોકડવિહીન અર્થતંત્રને વેગ મળશે અને યુ.પી.આઇ.ની લેવડદેવડનો ખર્ચ ઘટશે. ડિજિટલ રૂપિયા હશે તો લોકોને તેની હેરફેર અને સાચવવાની મુસીબત બચી જશે અને લેવડદેવડની બહેતર વ્યવસ્થા થશે. ચલણી નોટો અને સિક્કાના મૂલ્યના જ ઇ-રૂપિયા બહાર પડાશે અને બેંકો મારફતે તેનું વિતરણ થશે અને મોબાઇલથી ફોન કે એવાં સાધનોમાં સચવાઇ રહેશે. વ્યકિતથી વ્યકિત અને વ્યકિતથી વેપારી વચ્ચે લેવડદેવડ થઇ શકશે પણ વેપારી સાથેની ખરીદી જેવી બાબતમાં લેવડદેવડનો વેપારીનો સ્થળનો કયૂઆર કોડ રહેશે. બિટકોઇનના આગમન પછી પૈસાના ભાવિ વિશે ઘણા પ્રશ્નો થયા છે.

બિટકોઇન સરકારના નિયંત્રણમુકત અનામત ડિજિટલ ચલણ બનવાનું હતું પણ આવા ચલણનો રાફડો ફાટી નીકળતાં બિટકોઇનના ભાવિ વિશે પ્રશ્નાર્થ થયો. બિટકોઇનની પડતીથી રોકાણકારોને અત્યાર સુધીમાં બાર અબજ ડોલરનું નુકસાન થયું. અલબત્ત ટેકનોલોજી નાણાંની ક્રાંતિ કરી શકે છે, પણ જો તેના પર દેખરેખ હોય તો જ સીબીડીસી ચલણ ખાનગી વલણ નથી અને તેનાથી રોકડ રાખવાની અને મોટી રકમ નજર બહાર રહી જવાની બાબતમાં બચાવ થાય છે. આંતર બેંકીંગ લેવડદેવડમાં સરળતા અને બચત રહે અને સરહદ પારની લેવડદેવડમાં વધુ નવીનતા આણી શકાશે.

લોકોનો ઇ-ચલણમાં વિશ્વાસ વધશે.
ભારતમાં ચુકવણીનું આધુનિકીકરણ આવી રહ્યું છે અને તેની શરૂઆત 1000 અબજ ડોલરના ડિજિટલ અર્થતંત્રથી થશે. ભારતમાં ડિજિટલ લેવડદેવડમાં પ્રચંડ વધારો નોંધાયો છે. 2021માં 98 ટકા હતો અને 2022માં 118 ટકા થયો હતો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top