Comments

સરકારી નોકરીના સ્થાને ગુજરાતમાં ઉપલબ્ધ સ્વતંત્ર વ્યવસાય માટે યુવકો આગળ આવે

વૈદિકકાળે મનુષ્યની ભૂમિકાને સ્પષ્ટ કરી. વૈશ્વિક શક્તિના ભાગરૂપે પ્રકૃતિ અને માનવને સાંધતાં તત્ત્વોની સમજૂતી આપી. સામાજિક રસમો સ્થાપી. તો દૈવત ધરાવનાર વ્યક્તિવિશેષને દૈવ-રાજાનો દરજ્જો આપ્યો. પ્રજાને વિકાસના માર્ગે દોરવા માટે સમુદાયો. જ્ઞાતિ, કુટુંબ ઇત્યાદિ વ્યવસ્થાઓને કાર્યાન્વિત કરી સામુદાયિક વિકાસનો દોર સ્વતંત્રતા પછી આમપ્રજાના હાથમાં આવ્યો, પરંતુ આધુનિકતાવશાત્ ૨૧મી સદીમાં તકનીકી સાધનોનો સ્વીકાર વધ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એક સાર્વત્રિક સત્તા તરીકે ઊભરી રહ્યાં છે. ટૉલર કહે છે તેમ છેલ્લાં ૨૦ વર્ષમાં તો શક્તિનું કેન્દ્ર અને સુધારણાનો મદાર માણસ તરફથી ખસીને વિજ્ઞાન અને તકનીક તરફ જઈ રહ્યાં છે.

બદલાયેલ પરિવેશમાં હવે સમાજમાં વ્યક્તિ સમુદાય કે જૂથપરિવર્તનનાં માધ્યમ બનતાં તેના સ્થાને વાહનવ્યવહાર, સંદેશાવહન, ઊર્જાનાં વિવિધ સાધનો, સામાજિક વિકાસને દિશા અને ગતિ આપવા સક્ષમ સાબિત થયાં છે. શહેર અને ગામડું તેવી ભેદરેખાઓ તૂટી રહી છે. કોઈ નોંધનીય સામાજિક તફાવતો વિના દેશમાં રહેતાં લગભગ તમામ લોકો સમરૂપ જીવનશૈલી અને આચાર-વિચાર પ્રત્યે કેળવાઈ રહ્યાં છે. આધુનિકીકરણના નામે જાણીતા પરિવર્તનની ઘટનાનાં બે મુખ્ય કેન્દ્રો વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સત્તાનું હસ્તાંતરણ થયું છે. એક નવી જીવનશૈલી નવા યુગનું નિર્માણ થયું છે.

બદલાયેલા આર્થિક માહોલમાં આજનો પ્રશ્ન વિકાસની હરોળમાં પાછળ રહી ગયેલા સમુદાયને ઉત્પાદકતા સાથે જોડવાનો છે. અગાઉ રાજ્યસત્તાની રહેમથી સાધી શકાતો હેતુ હવે વિજ્ઞાન અને મધ્યમ કદનાં તકનીકી સાધનો દ્વારા હાંસલ કરવાનો સમય આવી ગયો છે. જરૂરિયાતમંદ વ્યક્તિને રોજગારી આપે તેવાં કાર્યક્ષેત્રોમાંનું પ્રથમ છે, વોટરશેઈડ મેનેજમેન્ટ. વરસાદથી મળતાં પાણીના સંચય અને તેના રચનાત્મક ઉપયોગની તરાહ. પાણી ગ્રામીણ ક્ષેત્રમાં ખેતી, વૃક્ષઉછેર અને મત્સ્ય ઉદ્યોગો વિકસાવી શકવા સક્ષમ છે. ૨૦૧૦ થી ૨૦રર દરમિયાન ઉત્તર ગુજરાતના દાહોદ અને પંચમહાલ જેવાં પછાત ક્ષેત્રોમાં વોટર• ઈડના જે કાર્યક્રમો વિકેન્દ્રિત ધોરણે યોજાયા તેમાં રૂ.૪૫૬ લાખના ખર્ચ દ્વારા ૬ લાખ ૧૭ હજાર એકર જમીનમાં પાણી ફરી શકયું. જેથી ૩ લાખ ૩૨ હજાર આદિવાસી પરિવારોને રૂ.૧ હજાર ૨૨૮ કરોડનો આર્થિક લાભ થયો.

સારા જીવન માટે પરિશ્રમ રેડવા તત્પર હોય તેવા ગ્રામસમૂહને વિકસતી તકનીકના આધારે રોજગારી આપી શકાય તેવું બીજું સક્ષમ ક્ષેત્ર હસ્તઉદ્યોગ છે. કચ્છ અને સાવરકુંડલા ટેનરી ઉદ્યોગ, સુરેન્દ્રનગર જિલ્લામાં વણાટનું કાર્ય, પાંચાલ ભાલ તથા કચ્છ વિસ્તારમાં ભરતકામ અને મોતીકામનો ઉદ્યોગ, બોટાદમાં માટીકામ, ઉત્તર ગુજરાતમાં પેચવર્કનું કામ, દક્ષિણ ગુજરાતમાં વાસ ઉદ્યોગને સાંકળી વરસે દહાડે ૧,૭૦,૦૦૦ કારીગરોને ૨૨થી ૨૮ કરોડની રોજી આપી શકાય તેવી શકયતાઓ છે. આ કાર્યમાં અમદાવાદ ખાતે અટિરા સંસ્થાએ વિકસાવેલ ટેક્ષટાઈલ ડિઝાઈનના કમ્પ્યુટર સોફ્ટવેર કાર્યક્રમને જોડી નાના કારીગરોને કોઈ વચેટિયા વિના સીધો જ લાભ આપી શકાય એટલુંજ નહીં પણ વાંસ અને ભરત કે મોતીકામને પ્લાસ્ટિક મોલ્ડિંગ ઉદ્યોગ સાથે જોડવાથી પારંપારિક હસ્ત ઉદ્યોગના કાર્યને નવી દિશા આપી શકવાની ઊજળી શકયતાઓ છે.

ભગવાન કૃષ્ણની કર્મભૂમિ સમું ગુજરાત પોતાના પશુધન માટે જાણીતું છે. ગુજરાતે સહકારી ધોરણે દૂધ-ઉત્પાદનમાં પોતાનું નામ વિશ્વમાં અગ્રેસર કર્યું છે. પરંતુ પશુઉછેર અને દૂધ- ઉત્પાદનના નાતાને વિજ્ઞાનની મદદથી આગળ ન ખેંચી શકાય? ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ અને ખાદી ગ્રામોદ્યોગ દ્વારા પ્રતિવર્ષ રાજ્યમાં ૪૬૦૦થી ૭૦૦૦ બાયોગૅસ પ્લાન્ટ તૈયાર થાય છે તો રાજ્યની કુલ વસ્તીની સંખ્યાની ભારોભાર જે પશુધન ઉપલબ્ધ છે તેના ગોબરમાંથી ધંધાકીય રીતે બાયોગૅસ કેમ ન બને? તેમ એગ્રોવેસ્ટ કે ખેતીની આડપેદાશમાંથી પશુઆહાર બનાવવામાં આવે તો ગ્રામીણ ઊર્જા અને રોજીનો બેવડો પ્રશ્ન હલ થાય.

ગામડાંમાં યુવકોને વ્યાપક રોજી આપી શકતું ચોથું કાર્યક્ષેત્ર વસ્ત્ર-ઉત્પાદન છે. સૂતરના તાંતણે સ્વરાજ્યની કલ્પના મહાત્મા ગાંધીજીએ સાકાર કરી આપી. પરંતુ ત્યાર બાદ તેનો અનુબંધ ભારતમાં ન રહ્યો, આમ છતાં વિજ્ઞાન તકનીકીએ પોતાની અસરકારિતા અવિરત રાખી છે. આથી રાજકોટ જિલ્લાના ગોંડલમાં સર્વોદય યોજના વહન કરતા મિત્રોએ ૩૬ ત્રાકનો સૂર્ય શકિતથી ચાલતો રેંટિયો બનાવ્યો છે. તો અટિરા સંસ્થાએ એક કારીગર આસાનીથી સાંજ પડે ૬થી ૮ મીટર કાપડ વણી શકે તેવી લૂમ વિકસાવી છે.

અહીં પ્રશ્ન કપાસના ખેતરના ઉત્પાદનને સૂતર અને વણાટ સુધી એક તાંતણે બાંધવાનો છે. ગુજરાતનાં ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની વ્યાપકતા માટે લાઈટ એન્જિનિયરીંગનાં સાધનો પણ આશાસ્પદ પુરવાર થયાં છે. નવાં સાધનોના માધ્યમથી ભાવનગરમાં પ્લાસ્ટિક રોપ બનાવવાનું કામ, જામનગર• બ્રાસ પાર્ટનું કાર્ય, ઉત્તર ગુજરાતમાં મોતી અને અકીકનું કાર્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગનું કામ વિકસ્યું છે. ગ્રામોદ્યોગના માધ્યમે આજે ૧,૫૨,૦૦૦ બહેનો મસાલા અને પાપડનાં કામોમાં રોજી મેળવે છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ગુજરાતની ધરતી ઉપર પથરાઈ છે ત્યારે પ્રતિવર્ષ અંદાજીત ૧૪૦૦ કરોડનું ખેત-ઉત્પાદન ગ્રામ પ્રદેશોમાં ઉપલબ્ધ બનશે. આથી કહી શકાય કે પ્રજાને વિકાસ માટે જોતરવા, તેમની સુખાકારીમાં વધારો કરવા માટે હવે આપણને નવો યુગ મળ્યો છે. દેશના બીજા ભાગોની અપેક્ષાએ ગુજરાતનાં આમ લોકોની સુખાકારી વધુ છે. આમ છતાં મિડલ લેવલ ટેકનોલોજીની મદદથી વિકાસ હાંસલ થાય તેવી રણનીતિ ઘડવામાં આવે તો ગુજરાતીઓની માથા આવકમાં આઠ આની વધારો થશે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top