World

પુતિનને ઝટકો કે વૈશ્વિક સંદેશ? બ્રિટિશ દરોડાથી રશિયન ઓઇલ નેટવર્ક ફરી ચર્ચામાં

યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બ્રિટને એક એવી કાર્યવાહી કરી છે, જેણે વૈશ્વિક રાજકારણ, સમુદ્રી સુરક્ષા અને ઊર્જા વેપાર અંગે નવી ચર્ચા શરૂ કરી છે. ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠા નજીક બ્રિટિશ સેનાએ એક શંકાસ્પદ રશિયન ઓઇલ ટેન્કર ‘સ્મર્ટોસ’ પર વિશેષ ઓપરેશન ચલાવીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. આ કાર્યવાહી માત્ર રશિયા માટે જ નહીં, પરંતુ ભારત માટે પણ મહત્વની બની ગઈ છે, કારણ કે જહાજ પર સવાર મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો છે. માહિતી મુજબ, કેમરૂનનો ધ્વજ ધરાવતું આ ટેન્કર રશિયાના કથિત ‘શેડો ફ્લીટ’નો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ જહાજ રશિયાના ઉસ્ત-લુગા બંદરથી ઇજિપ્તના પોર્ટ સઈદ તરફ જઈ રહ્યું હતું. બ્રિટિશ એજન્સીઓને શંકા હતી કે ટેન્કર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને બાજુ પર રાખીને રશિયન ઓઇલના પરિવહનમાં સંકળાયેલું હોઈ શકે છે.

આ શંકાના આધારે બ્રિટિશ સેનાના મરીન કમાન્ડો, નેશનલ ક્રાઇમ એજન્સી (NCA) અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. લગભગ છ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં હેલિકોપ્ટરની મદદથી કમાન્ડોને જહાજ પર ઉતારવામાં આવ્યા હતા. ચિનૂક, મર્લિન અને વાઇલ્ડકેટ જેવા હેલિકોપ્ટરોમાંથી દોરડાના સહારે જવાનોએ સીધી એન્ટ્રી કરીને સમગ્ર જહાજની તપાસ હાથ ધરી હતી. જહાજ પર કુલ 24 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 22 ભારતીય નાગરિકો અને બે જ્યોર્જિયાના નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ 38 વર્ષના એક ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. જોકે, બાકીના ભારતીય નાવિકો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે.

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ કાર્યવાહીને રશિયા માટે મોટો વ્યૂહાત્મક અને આર્થિક ઝટકો ગણાવ્યો છે. તેમના મતે, યુક્રેન સામેના યુદ્ધને આગળ ધપાવવા માટે ઉપયોગમાં લેવાતા નાણાંના સ્ત્રોતો પર નિયંત્રણ લાવવું જરૂરી છે. બ્રિટનનો દાવો છે કે રશિયા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા માટે ‘શેડો ફ્લીટ’ તરીકે ઓળખાતા જહાજોના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરે છે. ‘શેડો ફ્લીટ’ એવા જૂના અને ઘણીવાર શંકાસ્પદ માલિકી ધરાવતા જહાજોનો સમૂહ માનવામાં આવે છે, જે વિવિધ દેશોના ધ્વજ હેઠળ કામગીરી કરે છે. પશ્ચિમી દેશોનો આરોપ છે કે આ જહાજો દ્વારા રશિયન ઓઇલ અને ગેસનું ગુપ્ત પરિવહન કરવામાં આવે છે અને તેમાંથી મળતી આવક યુક્રેન યુદ્ધના ખર્ચમાં વપરાય છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, વિશ્વભરમાં આવા લગભગ 700 જેટલા જહાજો સક્રિય હોઈ શકે છે.

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલા વિડિયોમાં કમાન્ડો જહાજ પર ચઢતા, રૂમોની તપાસ કરતા અને દસ્તાવેજોની ચકાસણી કરતા જોવા મળે છે. આ સમગ્ર મિશનમાં રોયલ એરફોર્સના P-8A સમુદ્રી ગશ્તી વિમાન અને બ્રિટિશ નૌકાદળના HMS Sutherland તથા HMS Ledbury જેવા યુદ્ધજહાજોએ પણ ભાગ લીધો હતો. આ ઘટનાએ ભારત માટે પણ ચિંતાનો વિષય ઊભો કર્યો છે. વિશ્વભરના વેપારી જહાજોમાં મોટી સંખ્યામાં ભારતીય નાવિકો કામ કરે છે. આવા ભૂરાજકીય સંઘર્ષોમાં તેમની સુરક્ષા અને કાનૂની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ જહાજ પર પ્રતિબંધો, તપાસ અથવા સૈન્ય કાર્યવાહી થાય ત્યારે ભારતીય નાગરિકો પણ તેની સીધી અસર હેઠળ આવી શકે છે. હાલ રશિયા તરફથી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, ભૂતકાળમાં મોસ્કોએ આવા પગલાંને ગેરકાનૂની અને સમુદ્રી લૂંટફાટ સમાન ગણાવ્યા છે. હવે આ ઘટનાના આંતરરાષ્ટ્રીય રાજકીય અને કાનૂની પરિણામો પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

Most Popular

To Top