આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે

આવતી કાલે અત્રે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન ડે રમાશે ત્યારે ક્લિન સ્વીપની શક્યતાથી બચવા ભારતીય ટીમની વ્યૂહરચના ધરમૂળ ફેરફારની હશે જેમાં અમુક ખેલાડીઓને ગુપ્ત છતાં કડક સંદેશ હશે કે રમત સુધારે. આધુનિક સમયની વ્હાઇટ બૉલ ગેમ સાથે ભારતની વ્યૂહરચના તાલ મેળવતી નથી. મિડલ ઓવર્સમાં બેટ્સમેન વેગ જાળવી શક્તા નથી અને વધારે અગત્યનું એ છે કે જસ્પ્રીત બુમરાહ સિવાયના બૉલર્સ ક્લબ ક્લાસના જણાય છે.
બે મેચમાં ભારત માત્ર સાત વિકેટ લઈ શક્યું છે, ચાર પહેલી મેચમાં જેમાં સાઉથ આફ્રિકાએ પહેલો દાવ લીધો અને બીજીમાં માત્ર ત્રણ.
બે સિનિયર મોસ્ટ બૉલર્સ આર. અશ્વિન અને ખાસ કરીને ભુવનેશ્વર કુમાર જરાય ભયરૂપ જણાતા નથી અને સામી ટીમના યુવા બેટ્સમેનો આરામથી બેટિંગ કરે છે. બેઉ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયાં છે ત્યારે એ જોવાનું રહે છે કે કૉચ રાહુલ દ્રવિડ શું કરે છે. આગામી મેચમાં જયંત યાદવ અને દીપક ચહરને અજમાવે છે કે કેમ.
પહેલી બે મેચ બોલેન્ડ પાર્ક સ્ટ્રિપ પર રમાઇ જેમાં પેસ બહુ ન હતી. જો કે ન્યુલેન્ડ્સમાં પેસ અને બાઉન્સ વધારે હશે. બે મેચમાં અત્યાર સુધી તો કોઇ કપ્તાન રાહુલમાં કોઇ વ્યૂહાત્મક ફેરફાર જણાયો નથી. કે એલ રાહુલ માટે એની પહેલી ટેસ્ટમાં મેચ વિજેતા સદીને બાદ કરો તો આ પ્રવાસ કયામતથી કમ નથી રહ્યો. તેની ટોચના ક્રમે બેટિંગ સ્ટાઇલ પણ આધુનિક સમયમાં જૂનવાણી જણાય છે. સ્ટ્રાઇક ફેરવવાની એની અક્ષમતા પછીના બેટ્સમેન પર દબાણ વધારે છે. બે ઐયર્સ- શ્રેયસ બેટિંગમાં અને ઑલ રાઉન્ડર વેંકટેશ પણ હજી ઝળકી શક્યા નથી. મેચનો આરંભ ભારતીય સમયાનુસાર બપોરે બે કલાકે થશે.

Most Popular

To Top