National

શું ભારતમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ છે? જાણો કેસમાં વધારો થતા નિષ્ણાતોએ શું કહ્યું

નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યા હતા. ત્યારે હવે શું ભારતમાં (India) કોરોનાની ચોથી લહેર (fourth Wave) શરૂ થઈ છે? કારણે કે ભારતમાં કોરોનાના કેસમાં (Corona case) સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 2 મહિના પછી સાપ્તાહિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 14 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આંકડા દર્શાવે છે કે 13 થી 19 ડિસેમ્બરની વચ્ચે દેશભરમાં કોરોનાના 1,104 કેસ નોંધાયા હતા. જ્યારે 20 થી 26 ડિસેમ્બરની વચ્ચે 1,260 કેસ નોંધાયા છે. જાણો નિષ્ણાતો શું કહે છે ભારતામાં કોરોનાની ચોથી લહેર વિશે.

13 થી 19 ડિસેમ્બર વચ્ચે, 15 લોકોના કોરોનાથી મોત થયા હતા. તે જ સમયે, 20 થી 26 ડિસેમ્બરની વચ્ચે 19 લોકોના મોત થયા છે. જોકે દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ થોડો વધારો થયો છે. 22 ડિસેમ્બર સુધીમાં, સક્રિય કેસોની સંખ્યા 3,380 હતી, જે 26 ડિસેમ્બર સુધીમાં વધીને 3,421 થઈ ગઈ છે.

તો શું ભારતમાં કોરોનાની ચોથી લહેર આવશે?
હાલમાં નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાની ચોથી લહેરનો કોઈ ખતરો નથી. નિષ્ણાતો પણ માને છે કે ચોથી લહેરનો અવકાશ ઓછો છે. તેનું કારણ એ છે કે ભારતમાં 90 ટકાથી વધુ વસ્તી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. હજુ પણ તકેદારી વધારવામાં આવી છે.

એઈમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે જો કેસ વધશે તો પણ તે હળવા હશે અને લોકોને ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ને કારણે ન તો હોસ્પિટલમાં દાખલ થવાનું છે અને ન તો મૃત્યુની સંખ્યામાં વધારો થશે, કારણ કે હવે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે જુલાઈમાં BF.7 ભારતમાં આવ્યું હતું, પરંતુ અમે જોયું કે આના કારણે ન તો હોસ્પિટલમાં દાખલ થયા કે ન તો મૃત્યુમાં વધારો થયો. ડૉ. ગુલેરિયા માને છે કે આ પ્રકાર લાંબા સમય સુધી રહી શકે છે, પરંતુ તેનાથી કોઈ નવી લહેરની અપેક્ષા નથી.

Most Popular

To Top