Gujarat

પીએમ મોદી 17મી એપ્રિલે સોમનાથની મુલાકાતે, પૂજા બાદ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમ નિમિત્તે ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે સોમનાથની (Somnath) મુલાકાતે આવી રહ્યાં છે. આ મહાસંગમના રંગારંગ કાર્યક્રમો સોમનાથ અને દ્વારકા સહિતના તીર્થસ્થાનોએ તા.17 થી 30મી એપ્રિલ દરમ્યાન થવાના છે.

સદીઓ જૂના સંબંધોને પુન:ઉજાગર કરતા આ કાર્યક્રમનો શુભારંભ 17મી એપ્રિલના રોજ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં થશે. સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી સ્થળાંતર કરીને તામિલનાડુમાં સ્થાયીઓ થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયને પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રાખવા માટે મોદીએ સૌરાષ્ટ્ર- તમિલ સંગમ કાર્યક્રમના આયોજનનો વિચાર આપ્યો હતો. આ વિચારના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા તામિલનાડુથી સૌરાષ્ટ્રીયણ તમિલ સમુદાયના લોકો ટ્રેન મારફત ગુજરાતમાં આવશે. 14 એપ્રિલથી દરરોજ અંદાજે 300 વ્યક્તિઓની બેચ સાથે એક વિશેષ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થશે.

ગુજરાતમાં આવનાર દરેક યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ, ફેસ્ટિવલ્સ, સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પણ લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 25 લાખ લોકો તામિલનાડુમાં વસેલા છે.

Most Popular

To Top