Gujarat

નિરોગી રહેવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા રેડક્રોસને અપીલ કરતાં રાજયપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની (Indian Red Cross Society) ગુજરાત (Gujarat) રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ (PM) નરેન્દ્ર મોદી પણ અંગદાન માટે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની આ માંગ છે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.

દરેક જિલ્લાઓમાં અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક બજાર ભરાય; જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જ ખેત પેદાશો વેચાય એવું આયોજન કરાઈ રહ્યું છે એમ કહીને આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોના બજારથી ખરીદનારાઓને બજાર કરતાં ઓછી કિંમતે શુદ્ધ ખેત પેદાશો મળશે જેથી આરોગ્ય સુધરશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારું બજાર મળશે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થશે. આ માટે જનજાગૃતિ કેળવવા તેમણે રેડ ક્રોસના સ્વયંસેવકોને અનુરોધ કર્યો હતો.

માનવસેવા અને લોક કલ્યાણ માટે સદાય સેવારત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અન્યોના દુઃખને પોતાનું દુઃખ માનીને સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છે. આ માટે ગુજરાત રાજ્ય શાખાને અભિનંદન આપતાં આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં લોકોને સહાયની આવશ્યકતા ન હોય. એવામાં રેડ ક્રોસ અન્યોના દુઃખ-દર્દને પોતાના અનુભવીને સેવા કરે છે. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સેવાકાર્યો કરનાર રેડક્રોસની જિલ્લા અને તાલુકા શાખાઓના પદાધિકારીઓનું તેમણે સન્માન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રેડ ક્રોસના સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોની સાચી સેવા કરીને પુણ્યકર્મ કરી રહ્યા છે. સારા કર્મોનું ફળ પણ સારું જ મળે છે.

૧,૦૮,૦૦૦ જેટલા યુવાનો રેડ ક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાતના અધ્યક્ષ અજય પટેલે જણાવ્યું કે, આજે ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા માનવતાવાદી સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે, જે આકસ્મિક સંજોગોમાં તત્કાળ મદદરૂપ થશે. આવનારા ટૂંક સમયમાં ૧૧ પેથોલોજી લેબ, ૧૧ ફિજીયોથેરાપી સેન્ટર, ૧૧ જેનરીક દવાઓના સ્ટોર્સ અને ૫ ડેન્ટલ ક્લિનિક પણ શરુ કરવામાં આવશે. અત્યારે ગુજરાતની ૧૨ યુનિવર્સિટીઓ, ૧૬૯ કોલેજો અને ૨૭૮ સ્કૂલોમાં ૧,૦૮,૦૦૦ જેટલા યુવાનો રેડ ક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા છે. મહિલાઓના હિમોગ્લોબીન ટેસ્ટ વિના મૂલ્યે કરાય એ માટેની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે.

જંતુનાશક દવાઓ છાંટેલા અનાજ-શાકભાજીની સાથે આપણે ખોરાકમાં ધીમું ઝેર લઈ રહ્યાં છીએ
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખપદેથી બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, તમામ રોગોનું મૂળ આપણો આહાર છે. ખાદ્યાન્ન, ફળ, શાકભાજીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જે આપણા અન્નમાં ભળે છે. ખોરાકમાં આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. પરિણામે શરીર અનેક રોગોનું ઘર બને છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સમુક્ત ખેતી-પ્રાકૃતિક ખેતી-નેચરલ ફાર્મિંગ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. લોકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જ ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાનો આગ્રહ રાખશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહિત થશે. ગુજરાતમાં અત્યારે ૪ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ વર્ષમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રયત્નો છે.

Most Popular

To Top