Dakshin Gujarat

નવસારીમાં પત્નીને છોડી પતિ પ્રેમિકા સાથે રહેવા જતો રહ્યો

નવસારી: (Navsari) નવસારીમાં પતિએ તેની પ્રેમિકા (Lover) સાથે રહેવા માટે પત્ની (Wife) પાસેથી ૫ લાખ રૂપિયા દહેજ પેટે માંગી શારીરિક-માનસિક ત્રાસ આપી તેણીને છૂટાછેડા (Divorce) આપવા માટે દબાણ કર્યું હતું. પરંતુ પત્નીએ છૂટાછેડા નહીં આપતા પતિ તેની પ્રેમિકા સાથે રહેવા જતો રહેતા પત્નીએ મહિલા પોલીસ મથકે તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • ‘તારો પતિ મારી સાથે જ રહેશે’ નવસારીમાં પત્નીને છોડી પતિ પ્રેમિકા સાથે રહેવા જતો રહ્યો
  • ‘તારે મારી સાથે રહેવું હોય તો નવું ઘર લેવા દહેજ પેટે 5 લાખ રૂપિયા લઈ આવ, નહી તો મારા ઘરમાંથી નીકળી જા’ કહીને પરિણીતાને ત્રાસ
  • છૂટાછેડા આપવા માટે દબાણ કરાતા પત્નીની તેના પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ, નવસારી જુનાથાણા રાજપૂત સ્ટ્રીટમાં રહેતી સ્નેહાબેનના લગ્ન ગત 2016 માં નવસારી ઈશુની વાડી ગોહિલ હોસ્પિટલની સામે મહાલક્ષ્મીનગરમાં રહેતા માસુકભાઈ બચુભાઈ પટેલ સાથે થયા હતા. ગત 2020 માં સ્નેહાબેને પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ગત 2021 માં સ્નેહાબેને પતિ માસુકભાઈનો ફોન ચેક કરતા તેમાં ચાંદની નામની છોકરી સાથેના ફોટા અને વાતચીતના મેસેજ મળી આવતા અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્નેહાબેને માસુકભાઈને પૂછતાં માસુકભાઈએ સ્નેહાબેનને અપશબ્દો બોલી ઝઘડો કરી મારી માર્યો હતો. ત્યારબાદ પતિ માસુકભાઈ અને પ્રેમિકા ચાંદની ક્યાંક ભાગી ગયા હતા. જેઓ સુરખાઇ ગામેથી મળી આવ્યા હતા.

જેથી સ્નેહાબેને માસુકભાઈ સાથે બાંહેધરીખત તૈયાર કરી માસુકભાઈ પાસે સાઈન કરાવી હતી. જેમાં સ્નેહાબેનને સારી રીતે રાખવાની અને ચાંદનીબેન સાથે સંબંધ નહીં રાખવાનું લખ્યું હતું. પરંતુ ત્યારબાદ માસુકભાઈ પત્ની સ્નેહાબેનને ‘તારે મારી સાથે રહેવું હોય તો મને નવું ઘર લેવા માટે તું દહેજ પેટે 5 લાખ રૂપિયા લઈ આવ નહી તો મારા ઘરમાંથી નીકળી જા’ કહી સ્નેહાબેનને ત્રાસ આપવાનું શરુ કયું હતું. સ્નેહાબેને ફરી એકવાર માસુકભાઈનો મોબાઈલ ચેક કરતા માસુકભાઈ અને ચાંદનીબેનના ફોટા જોવા મળ્યા હતા. જેથી સ્નેહાબેને પતિ માસુકભાઈને આ બાબતે પુંછતા તું મારા ઘરમાંથી નીકળ તેમ કહી સ્નેહાબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો.

ત્યારબાદ સ્નેહાબેનને છૂટાછેડાના લખાણ ઉપર સહી કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ગત 21મી ઓગષ્ટ 2022 માં માસુકભાઈ પત્ની સ્નેહાબેનને દુધિયા તળાવ પાસે લઈ આવી ચાંદનીબેનને બોલાવી હતી. જ્યાં માસુકભાઈ અને ચાંદનીબેને સ્નેહાબેનને અપશબ્દો બોલી છૂટાછેડાના લેખ ઉપર સહી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. ચાંદનીબેન સ્નેહાબેનને જ્યારે પણ મળે ત્યારે ‘તારો પતિ તો મારી સાથે જ રહેશે’ તેમ કહેતી હતી. ત્યારબાદ પતિ માસુકભાઈ અને ચાંદનીબેન બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હોવાનું સ્નેહાબેનને જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે સ્નેહાબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ માસુકભાઈ અને તેની પ્રેમિકા ચાંદનીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ વુ.હે.કો. રમીલાબેનને સોંપી છે.

Most Popular

To Top