Gujarat

નવા જંત્રીના અમલ પહેલા દસ્તાવેજોની નોંધણીનો ભારે ધસારો- અનેક શહેરોમાં સર્વર ડાઉનની સમસ્યા

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી તા. 15મી એપ્રિલથી જંત્રીના (Jantri) દરમાં ડબલ વધારો થઈ જશે. જેના પગલે બિલ્ડરોથી લઈને પ્રોપર્ટીધારકો જમીનો અને મકાનોના દસ્તાવેજ કરાવવા માટે રજિસ્ટ્રારની કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. ટોકન સિસ્ટમ અમલી બનાવીને નિયત સંખ્યામાં અરજદારોને બોલાવવામાં આવી રહ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઈન નોંધણી માટેનું સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યમાં 15 એપ્રિલથી જંત્રી દર બમણા થવાના હોવાથી દસ્તાવેજ નોંધણી કચેરીમાં ભારે ધસારો છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે પરંતુ સર્વરની સમસ્યા ગંભીર છે. સર્વર વારંવાર ખોટકાતું હોવાથી અરજદારોએ અડધી રાત્રે દસ્તાવેજ સબમિટ કરવા પડે છે. અમદાવાદ શહેરની 14 સબરજિસ્ટ્રાર કચેરીમાં રોજ સરેરાશ 1100 અને અમદાવાદ જિલ્લામાં 350 દસ્તાવેજ થાય છે. સરકારે લોકોની સરળતા માટે દસ્તાવેજની પ્રક્રિયા ઓનલાઇન કરી છે. પરંતુ ઓનલાઇન શરૂઆત થઇ ત્યારથી સર્વરની સતત સમસ્યા છે. દસ્તાવેજની પ્રક્રિયા માટે 2.0 સર્વરમાં મિલકત લેનાર તરફથી તમામ પુરાવા ઓનલાઇન સબમિટ કરવા પડે છે. હવે દિવસ દરમિયાન સર્વરની સતત સમસ્યા રહેતી હોવાથી એજન્ટો અડધી રાતે પ્રક્રિયા કરે છે.

દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરી મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે, અથવા વહેલી સવારે ઓનલાઇન કામગીરી કરવી પડે છે. અમદાવાદની 14 સબરજિસ્ટાર કચેરીમાં રોજ 1100થી વધુ દસ્તાવેજ થાય છે. જ્યારે જિલ્લાના નવ તાલુકાઓમાં 350થી વધુ દસ્તાવેજ નોંધાયા છે. આમ અમદાવાદમાં એક દિવસમાં 1400થી વધુ દસ્તાવેજ નોંધાય છે. સ્ટાફની ઘટથી કેટલીક કચેરીમાં 8 કલાકથી વધુ કામ થાય છે.

Most Popular

To Top