Gujarat

રાજ્યમાં કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1ના 36 કેસોમાં 14 હોમ આઇસોલેશન હેઠળ, 22 દર્દીઓ સાજા થયા

ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) કોરોનાની (Corona) તા. 28 ડિસેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનમાં 47, રાજકોટ (Rajkot) કોર્પોરેશનના 10, ગાંધીનગર (Gandhinagar) કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં (Hospital) સારવાર હેઠળ છે.

  • રાજ્યમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ
  • 1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા
  • જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા – પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો

ગત સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. કેબીનેટ બેઠક બાદ આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના JN.1 વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.

રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે , રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે, તેમ પટેલે કહયું હતું.

Most Popular

To Top