Gujarat Main

વરસાદમાં નુકસાન થયું હોય તો મળશે પહેલાં કરતાં વધુ સહાય, જાણો કેટલી મળશે?

ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood) નિર્માણ થયું છે. CM ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તમાં તબાહ થયેલા લોકોને કીચડમાં ચાલી મુલાકાત લીધી હતી, ત્યાર બાદ આ સંવેદનશીલ સરકારે પહેલી જ મુખ્યમંત્રીમંડળની બેઠકમાં (Cabinet Meeting) મોટી રાહતો જાહેર કરી છે. હવે કુદરતી આફતમાં અસર પામેલા ખેડૂત, પશુચાલકો અને નાગરિકોને પહેલાં કરતા વધુ સહાય મળશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની (Cabinet meeting) પ્રથમ બેઠક મળી હતી. આ મિટીંગમાં રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓને થયેલા નુકશાન મુદ્દે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu vaghani)મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કહ્યું કે, રાજ્ય સરકારે વરસાદી આફતનો ભોગ બનેલા ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને મદદ માટે SDRFના સહાય ધોરણો ઉપરાંત વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.

  • રાજ્ય સરકારે વરસાદી આફતનો ભોગ બનેલા અસરગ્રસ્તોને SDRFના ધોરણો ઉપરાંત વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી
  • મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય કર્યો છે

ભારે વરસાદથી ઘરવખરીને નુકશાનના કિસ્સામાં SDRFની 3800 રૂપિયાની સહાયમાં મંત્રીમંડળે 3200 રૂપિયાની સહાયનો વધારો કર્યો છે. હવે પરિવાર દીઠ 7000 રૂપિયા ઘરવખરી સહાય આપવામાં આવશે. વરસાદથી જે ઝૂંપડાઓ તૂટી ગયા તેવા કિસ્સામાં રાજ્ય સરકારે 5900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. ઝૂંપડાઓ માટે SDRFના 4100 રૂપિયામાં રાજ્ય સરકારના વધારાના 5900 રૂપિયા મળી હવે ઝૂંપડા દીઠ 10 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF હેઠળ મળવાપાત્ર 5200 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકારના વધારાના 9800 રૂપિયા મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ 15 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે. જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે 6800 રૂપિયાનો વધારો કર્યો છે. આમ, SDRFના 3200 રૂપિયા ઉપરાંત વધારાની 6800 રૂપિયા એમ કુલ 10 હજારની સહાય ચુકવવામાં આવશે.

વરસાદમાં 5 દૂધાળા પશુના મૃત્યુ સુધી મળશે સહાય

વરસાદમાં  ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં SDRFના ધોરણો મુજબ 30 હજાર રૂપિયાની પશુ મૃત્યુ સહાય પશુ દીઠ મળતી હતી. તેમાં વધારાના 20 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દીઠ 50 હજાર રૂપિયાની સહાય પશુપાલકોને અપાશે.

આ ઉપરાંત ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ બે હજાર રૂપિયાનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુ દીઠ 5 હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે. ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના 2100 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકાર તરફથી 2900 રૂપિયા વધારાના મળી કુલ 5000 રૂપિયાની સહાય શેડ-ગમાણ દીઠ આપવાનો નિર્ણય કર્યો છે.

Most Popular

To Top