Business

નવો GST નંબર જનરેટ કરશો તો જ વેપાર થશે

સુરત: સુરત (Surat) સહિત રાજ્યભરમાં થયેલા હજારો કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં (SCAM) 250 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ચીટરો દ્વારા ગજવે ઘાલવા અને ક્રેડિટ તગડું કમિશન વસૂલી પાસ ઓન કરવાનાં બનાવ પણ બન્યાં હતાં. એ પછી વિભાગે હવે જીએસટી રજિસ્ટ્રેશનની કામગીરી આકરી બનાવી છે. હવે નવો GST નંબર મેળવ્યા પછી પણ કરદાતાઓ પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં.

અત્યાર સુધીના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિએ તેનો કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે જીએસટી નંબર લેવો પડતો હતો. જ્યારે તેને જીએસટી પોર્ટલ પર જીએસટી નંબર ફાળવવામાં આવે અને પ્રમાણપત્ર આપવામાં આવે, તો તે તેના પોર્ટલના ફંક્શનથી તમામ કાર્યો શરૂ કરી શકતા હતાં પરંતુ હવે GST પોર્ટલ પર GST નિયમ 10A લાગુ કરવામાં આવ્યો છે, તેના કારણે જો કોઈ વ્યક્તિએ પોતાનો નવો GST નંબર લીધો હોય પરંતુ GST નંબર મેળવ્યા પછી પણ, તેના 45 દિવસની અંદર GST પોર્ટલ પર તેનું બેંક એકાઉન્ટ અને ખાતાની વિગતો અપડેટ કરવામાં નહીં આવે, તો કરદાતા તમામ પ્રકારની સેવાઓ જેમ કે GST ડેક્સબૉર્ડ, સેવાઓ, રિટર્ન, ચુકવણી, ઇ વે બિલ વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં.

બેંક એકાઉન્ટને લગતી વિગતો અપલોડ થશે પછી જીએસટી વિભાગ કેવાયસી વેરિફિકેશન બેંકે કર્યું છે કે કેમ એ પણ બેંકને પૂછી શકશે. આ પ્રોસેસથી સહકારી અને ખાનગી બેંકો બોગસ એકાઉન્ટને પ્રોત્સાહન આપતી હતી એ પણ અટકશે. જીએસટી વિભાગે નવા નંબરની ઓનલાઈન અરજી આવશે એ પછી ફોટોગ્રાફ સાથેના ડેકલેરેશન ફોર્મમાં સહી કરવા મૂળ અરજદારે જ જીએસટી વિભાગમાં રૂબરૂ આવવું પડશે. અગાઉ આખી પ્રક્રિયા ઓનલાઇન વિભાગમાં હાજરી આપ્યાં વિના થઈ જતી હતી. જે રજિસ્ટ્રેશનમાં વિભાગને શંકા થશે એવા કિસ્સાઓમાં વેપાર ખરેખર દર્શાવવામાં આવેલાં સ્થળે થઈ રહ્યો છે કે, કેમ એ ચકાસવા સપોર્ટ વેરિફિકેશન કરવા અધિકારીઓ સ્થળ પર પણ હવે નવી જોગવાઈ મુજબ જઈ શકશે.

સીએ.નારાયણ શર્મા કહે છે કે, કોઈ વ્યક્તિએ પોતાનો નવો GST નંબર લીધો હોય પરંતુ GST નંબર મેળવ્યા પછી 45 દિવસની મર્યાદામાં GST પોર્ટલ પર તેનું બેંક એકાઉન્ટ અને ખાતાની વિગતો અપડેટ કરી નહીં હોય તો કરદાતા તમામ પ્રકારની સેવાઓ જેવી કે GST ડેક્સબૉર્ડ, સર્વિસ, રિટર્ન, ચુકવણી, ઇ વે બિલનો ઉપયોગ કરી શકશે નહીં.

Most Popular

To Top