લોકપ્રિય વેબ સિરીઝ Panchayatમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા વિનોદ સુર્યવંશીએ પોતાના બાળપણના સંઘર્ષ અને કર્ણાટકમાં હજુ પણ ચાલુ રહેલા જાતિઆધારિત ભેદભાવ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેતા તરીકે ઓળખ મેળવ્યા પછી પણ તેમના પરિવારને આજેય ગામના મંદિરોમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, જે સમાજમાં હજુ પણ જીવંત ભેદભાવ તરફ ઈશારો કરે છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન વિનોદ સુર્યવંશીએ જણાવ્યું હતું કે તેઓ નાની વયથી જ સામાજિક અસમાનતા અને ગરીબી વચ્ચે મોટા થયા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમના પરિવારને ગામના કેટલાક વિસ્તારોમાં જવા માટે પણ અડચણો અનુભવવી પડતી હતી. ખાસ કરીને મંદિરોમાં પ્રવેશ ન મળવો અને કેટલાક લોકોના ઘરમાં આવવા-જવાની મનાઈ હોવી જેવી વિવિધ પરિસ્થિતિઓએ બાળપણમાં જ તેમને ભેદભાવનો સામનો કરાવ્યો હતો.
વિનોદે વધુમાં જણાવ્યું કે તહેવારોના દિવસો પણ તેમના માટે આનંદ કરતાં વધુ દુઃખદ બની જતા હતા. જ્યારે ગામના અન્ય લોકો તહેવારોની ઉજવણી કરતા, ત્યારે તેઓ અને તેમનો પરિવાર ઘણીવાર અલગ પડેલા અનુભવતા. આ પરિસ્થિતિઓએ તેમના મન પર ઊંડી અસર છોડી હતી. આર્થિક રીતે પણ તેમનું બાળપણ અત્યંત મુશ્કેલીઓમાં પસાર થયું હતું. પરિવારની નબળી પરિસ્થિતિને કારણે જીવન ચલાવવા માટે તેમને અનેક નાના-મોટા કામ કરવા પડ્યા હતા. લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ તેમને અભિનય ક્ષેત્રમાં તક મળી, આજે તેઓ લોકપ્રિય સિરીઝ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી શક્યા છે.
વધુમાં વિનોદ સુર્યવંશીએ જણાવ્યું કે તેઓ પોતાના અનુભવો જાહેર કરીને સમાજમાં રહેલા જાતિભેદ સામે અવાજ ઉઠાવવા માંગે છે. તેમનું માનવું છે કે આજના સમયમાં પણ દેશના કેટલાક વિસ્તારોમાં આવી માનસિકતા બદલવાની તાતી જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી કે સમાજમાં જાગૃતિ વધશે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓમાં સુધારો જોવા મળશે.