National

સુરતને વધુ એક સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું, અહીં જવા માટે મુસાફરોને સીધી જ કનેક્ટિવીટી મળશે

તમે સુરતમાં (Surat) રહેતો હોવ અને દિવાળીમાં ગોવા, કેરળ કે કર્ણાટક ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તમારા માટે ખુશખબર છે. રેલવે વિભાગ (Railway Department) દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ એક સુપરફાસ્ટ ટ્રેનને (Superfast Train) સુરતનું સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે, જેના લીધે સુરતથી ગોવા (Goa), કર્ણાટક કે કેરળ જવા માંગતા મુસાફરોને ખુબ જ ફાયદો થશે. હવે આ મુસાફરોને સીધી જ કનેક્ટિવીટી મળશે.

રેલવે વિભાગ દ્વારા દિલ્હીથી કોચી વચ્ચે દોડતી નિઝામુદ્દીન એર્નાકુલમ દુરન્ટો એક્સપ્રેસને (duronto Express train) સુરતનું સ્ટોપ આપવામાં આવ્યું છે. આગામી તા. 26 સપ્ટેમ્બરથી આ સુપરફાસ્ટ ટ્રેન સુરતના રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ વીકલી ટ્રેન ગુરુવારે અને રવિવારે સુરતના રેલવે સ્ટેશન (Surat Railway Station) પર થોભશે.

  • 26મી સપ્ટેમ્બરથી દુરન્ટો એક્સપ્રેસ સુરતના રેલવે સ્ટેશન પર થોભશે
  • એર્નાકુલમ અને નિઝામુદ્દીન વચ્ચે દોડતી આ ટ્રેન ચાર જ સ્ટેશન પર ઉભી રહેશે
  • ગુજરાતમાં આ સુપરફાસ્ટ ટ્રેન માત્ર સુરત ખાતે જ ઉભી રહેશે

નિઝામુદ્દીનથી એર્નાકુલમ જતી 02284 જતી ટ્રેન 26 સપ્ટેમ્બરથી અને એર્નાકુલમથી દિલ્હી જતી 02283 ટ્રેન 30 સપ્ટેમ્બરથી સુરત ખાતે ઉભી રહેશે. એર્નાકુલમ અને નિઝામુદ્દીન વચ્ચે દોડતી આ ટ્રેન ચાર જ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન એર્નાકુલમથી ઉપડી મેંગ્લોર, મડગાંવ, પનવેલ, સુરત અને નિઝામુદ્દીનમાં થોભશે. ગુજરાતમાં આ ટ્રેન માત્ર સુરત ખાતે જ ઉભી રહેશે.

દેશના ઉત્તરથી દક્ષિણ છેડાને જોડતી ટ્રેેન સતત 44 કલાક દોડે છે

એર્નાકુલમ –દુરોન્ટો એ વીકલી ટ્રેન છે, જે કોચીથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે દોડે છે. આ ભારતની સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન છે. ઉત્તરમાં દેશની રાજધાની દિલ્હીથી છેક દક્ષિણમાં કેરળને જોડતી આ ટ્રેન છે. આ કોંકણ રેલવે રૂટ પરથી પસાર થાય છે. દેશના મહત્ત્વના રાજ્યો દિલ્હી, ગોવા, કર્ણાટકને જોડતી આ ટ્રેન હવે સુરતમાં ઉભી રહેનારી હોય ગુજરાતને પણ આવરી લેશે.  લક્ઝુરીયસ આ ટ્રેનમાં 7 નોન AC, 4 AC થ્રી-ટાયર કોચીસ, 1 AC ટુ-ટાયર કોચ, 1 AC ફર્સ્ટ ક્લાસ, 1 પેન્ટ્રી કાર અને 2 EOG કાર્સ છે. કુલ 16 કોચ છે. આ ટ્રેન એક તરફનું અંતર કાપવામાં અંદાજે 44 કલાકનો સમય લે છે.

લાંબા સમયથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દેશની રાજધાની દિલ્હીના રહીશો ફાસ્ટ કનેક્ટિવીટી માટે માંગણી કરી રહ્યાં હતાં. રેલવે મંત્રાલય પણ દેશના નાગરિકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે ઝડપી કનેક્ટિવીટી મળે તે માટે વિચારી રહી છે, તેના ભાગરૂપે હાલમાં દુરન્ટો એક્સપ્રેસને સુરતનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top