National

રાહુલ ગાંધીના ઘરે દિલ્હી પોલીસ પહોંચી, શ્રીનગરમાં યૌન ઉત્પીડન પર આપ્યું નિવેદન

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શ્રીનગરમાં (Srinagar) આપેલા વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં દિલ્હી પોલીસ (Delhi Police) રવિવારે તેમના નિવાસસ્થાને પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી અને ડીસીપી હાલમાં રાહુલ ગાંધીના ઘરની અંદર જ હાજર છે. જોકે રાહુલ એક કલાક બાદ પણ પોલીસને મળ્યા નથી.

પવન ખેડા રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. પરંતુ પોલીસે પહેલા તેમને અંદર જતા અટકાવ્યા હતા. જોકે બાદમાં પરવાનગી આપવામાં આવી હતી. પોલીસે રાહુલ ગાંધીના આવાસની બહાર બેરિકેડ લગાવી દીધા છે. પવન ખેડાએ કહ્યું કે રાહુલ ગાંધીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારને શું લાગે છે કે તેઓ ડરી જશે? પવન ખેડા સાથે શક્તિસિંહ ગોહિલ અને અશોક ગેહલોત રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. કોંગ્રેસના ત્રણેય નેતાઓ રાહુલના ઘરની અંદર છે.

શ્રીનગરમાં તેમની ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આજે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. આને લઈને દિલ્હી પોલીસે 16 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે કઈ મહિલાઓ, જેમણે આવું કહ્યું છે, રાહુલ ગાંધીએ તેની વિગતો દિલ્હી પોલીસને આપવી જોઈએ. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાએ હજુ સુધી દિલ્હી પોલીસને જવાબ આપ્યો નથી.

સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે અમે તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે મુલાકાત દરમિયાન તેઓ ઘણી મહિલાઓને મળ્યા હતા અને તેઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેમની સાથે યૌન શોષણ થયું છે. એટલા માટે અમે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી પીડિતોને ન્યાય મળી શકે.

નોટિસને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું
આ સાથે જ કોંગ્રેસે દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધીને નોટિસ આપવા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધીના સવાલોથી પરેશાન સરકાર તેની પોલીસની પાછળ છુપાઈ છે. કોંગ્રેસે કહ્યું હતું કે અમે કાયદા મુજબ યોગ્ય સમયે નોટિસનો જવાબ આપીશું. આ નોટિસ સરકાર ડરી ગઈ છે તેનો વધુ એક પુરાવો છે.

શું છે મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે નિવેદન આપ્યું હતું કે અત્યારે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. આ બાબતની નોંધ લેતા પોલીસે રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નોની યાદી મોકલી હતી. આ મહિલાઓ વિશે પણ માહિતી આપવાનું કહ્યું, જેથી તેમને સુરક્ષા પૂરી પાડી શકાય.

Most Popular

To Top