Dakshin Gujarat

ડાંગ જિલ્લાનાં ગામડાઓના 20 ખ્રિસ્તી પરિવારોની હિન્દૂ ધર્મમાં ઘરવાપસી

સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં રહેતા અમુક પરિવારો જે પ્રાચીન સમયથી ચાલતી આદિવાસી સંસ્કૃતિને છોડીને ખ્રિસ્તી ધર્મનો (Christianity) અંગીકાર કર્યો હતો. આ પરિવારો સનાતન ધર્મ (Religion) છોડી ભટકી ગયા હતા. સુબિર તાલુકાનાં 20 જેટલા પરિવારોએ અગ્નિવીર હિન્દૂ સંગઠનની આગેવાનીમાં આજરોજ શુદ્ધિકરણ કરી મૂળ ધર્મમાં ઘરવાપસી કરી હતી.

  • ડાંગ જિલ્લાનાં 20 ખ્રિસ્તી પરિવારોની હિન્દૂ ધર્મમાં ઘરવાપસી
  • પદમડુંગરી ગામનાં ચાંદ સૂર્ય મંદિર તથા ઉનાઈ માતાનાં મંદિરે દર્શન કરી પોતાના મુળ હિન્દૂ ધર્મમાં (Hinduism) ઘર વાપસી કરી

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં 20 પરિવારો જે સનાતન ધર્મ છોડી ભટકી ગયા હતા. જે પરિવારોએ આજરોજ અગ્નિવીર હિન્દૂ સંગઠનનાં આગેવાનીમાં પદમડુંગરી ગામનાં ચાંદ સૂર્ય મંદિર તથા ઉનાઈ માતાનાં મંદિરે દર્શન કરી પોતાના મુળ હિન્દૂ ધર્મમાં ઘર વાપસી કરી હતી. અત્રે નોંધનીય છે કે અગ્નિવીર હિન્દૂ સંગઠન દ્વારા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હિન્દૂ ધર્મ જાગરણ, સનાતન સંસ્કૃતિ, સંસ્કારો અને સભ્યતા માટે જાગૃતિ કેળવવામાં આવે છે. અગ્નિવીર સંગઠનનાં સ્થાપક સંજીવ નેવર, વશીભાઈ શર્માજીનાં માર્ગદર્શન હેઠળ પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહીતે જણાવ્યુ હતુ કે આજદિન સુધીમાં ડાંગ જિલ્લામાં 8000થી વધુ પરિવારોનું શુદ્ધિકરણ કરીને ઘરવાપસી કરાવી છે.

નવસારી જિલ્લામાં દેવી-દેવતાઓની મૂર્તિઓની ઉંચાઇ 4 ફૂટથી વધારે રાખવા પર પ્રતિબંધ
નવસારી : આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ અને નવરાત્રિને લઈ નવસારી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દેવી-દેવતાઓની મૂર્તિઓની ઊંચાઈ 4 ફૂટથી વધારે રાખવા પર પ્રતિબંધ મુક્યો છે. હાલમાં નવસારી જિલ્લામાં ફરી કોરોનાના કેસો નોંધવાના શરૂ થયા છે. જિલ્લામાં રોજ-રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેના પગલે જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. ત્યારે કોરોના ઉપર કાબુ મેળવાય તે માટે જિલ્લા તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ અને નવરાત્રી સહિતના ઉત્સવો આવી રહ્યા છે. જે ઉત્સવો જિલ્લાના લોકો ધૂમધામથી ઉજવતા હોય છે. પરંતુ કોરોનાને લીધે જિલ્લા તંત્રએ કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા હતા. ગત વર્ષે ઉત્સવોને ધ્યાને રાખી જિલ્લા તંત્રએ ગાઈડ લાઈન બહાર પાડી હતી. ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં આવી રહેલા ઉત્સવોને લઈ જિલ્લા તંત્રએ ગાઈડ લાઈન બહાર પાડી છે.

જેમાં ગણેશ મહોત્સવ દરમિયાન ઉપયોગમાં લેવા આવનાર દેવી-દેવતાઓ, ગણપતિજીની મૂર્તિઓની ઉંચાઇ 4 (ચાર) ફૂટથી વધુ નહીં રાખવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર ગત વર્ષે મળેલી રજૂઆતોને લક્ષમાં લેતા લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે ચાલુ વર્ષે અગમચેતીના ભાગરૂપે ગણેશ મહોત્સવ, દશામાં, છઠ પુજા, દુર્ગા પુજા વિગેરે ધાર્મિક તહેવારોમાં સ્થાપવામાં આવતી મૂર્તિઓની ઉંચાઇ સબંધે પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.
જે અન્વયે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત પ્રકાશ યાદવે જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ, દશામાં, છઠ પુજા તથા દુર્ગા પુજાના તહેવારમાં સ્થાપવામાં આવતી દેવી-દેવતાઓ, ગણપતિની મૂર્તિઓ બેઠક સહિત 4 (ચાર) ફૂટની ઉંચાઇ સુધીની રાખવાની રહેશે તેમજ મૂર્તિકારોએ પણ બેઠક સહિત 4 (ચાર) ફૂટથી વધુ ઉંચાઇની મુર્તિઓ બનાવવી નહી કે ઓર્ડર લેવો નહીં. જો તેમ કરવામાં આવશે તો તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમ ચાલુ વર્ષમાં ગણેશ મહોત્સવ, દશામાં, છઠ પુજા, દુર્ગા પુજાના તહેવારો પુરતો અમલી રહેશે.

Most Popular

To Top