Gujarat

PM મોદીએ ડિજિટલ ઇંડિયા વિકનો શુભારંભ કરાવ્યો, કહ્યું- આજનો કાર્યક્રમ 21મી સદીના ભારતની ઝલક

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar ) મહાત્મા ગાંધી મંદિર (Mahatma Gandhi Temple) ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકનું (Digital India Week) 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર ગુજરાત (Gujarat) આવ્યા છે. પીએમ મોદીના હસ્તે સોમવારે ડિજિટલ ઈન્ડિયા વિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્નોલોજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે એ માટે અનેકવિધ નવીન ડિજિટલ યોજનાઓ દેશવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન મોદીના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ સાથે ટેક્નોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી મળતી સુવિધાઓના લાભો વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કર્યા હતાં.

PM મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક-2022ની ઉજવણી દરમ્યાન 7 પહેલનું દેશવ્યાપી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે  વિશ્વના 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. ટેકનોલોજીના ફાયદા જણાવતા તેઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં 3 કરોડથી વધુ લોકોએ ઘરે બેસી મોબાઇલ પર તબીબી સલાહો લીધી. આ ઉપરાંત દેશમાં વન નેશન વન રાશનની મદદથી 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવ્યું છે. રોજગારની તકોમાં વધારો,  વંદે ભારત ટ્રેનનો ઉપયોગ, ખોવાયેલા બાળકોનું તેના પરિવારો સાથે મિલન, જનધન, મોબાઇલ અને આધારનો લાભ, ઈ-સંજીવનીનો લાભ,  ભ્રષ્ટાચાર પર લગામ, ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા વગેરે જેવા લાભો તેઓએ જણાવ્યા હતાં.

પીએમ મોદીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ 21મી સદીના ભારતની ઝલક છે. સમયની સાથે ટેક્નોલોજીનો સમાવેશ થયો. જે લોકો ટેક્નોલોજી સાથે ચાલતા નથી, તે સમયથી પાછળ રહી જાય છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ભારતે ડિજિટલ અભિયાનને સમગ્ર વિશ્વની સામે રાખ્યું. તેઓએ કહ્યું કે 8 વર્ષ પહેલા શરૂ થયેલું અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છે.

ડિજિટલ ઇન્ડિયા વીક-2022ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા.4થી 7 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કો-વિન, ડિજિલોકર જેવાં જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે એ અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેક્નોલોજીનાં વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે એ માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.

આ કાર્યક્રમની થીમ ‘Catalyst the Technology of New India’ છે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી ટેક્નોલોજી સુધી પહોંચ વધારવા, જીવનને સરળ બનાવવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી ડિજિટલ પહેલો શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પણ લોન્ચ કરી હતી, જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે. આમાં વૉઇસ આધારિત એક્સેસનો સમાવેશ થાય છે.

Most Popular

To Top