ગાંધીનગર: ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલા આ મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની જોગવાઈને મંજૂરી આપી છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના કારણે રસ્તાઓ ઉપરના વીજ થાંભલા અને વાયરનું જાળું ઘટશે, જેના કારણે શહેરોની દૃશ્ય સુંદરતામાં વધારો થશે. સાથે જ શહેરી આયોજન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી દિશા મળશે. રાજ્ય સરકારનું માનવું છે કે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ પૂર્ણ થયા બાદ ગુજરાતના શહેરો દેશના સૌથી આધુનિક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેરી વિસ્તારોમાં સ્થાન મેળવશે.
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા આવરી લેવાશે
‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. હાલ શહેરોમાં રસ્તાઓ ઉપર દેખાતી વીજળીની ઓવરહેડ લાઈનોને તબક્કાવાર દૂર કરીને સંપૂર્ણપણે ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન (HT) અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન (LT) ઓવરહેડ વીજ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 11 કે.વી. લાઈનો થશે ભૂમિગત
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ વીજ લાઈનોને ભૂમિગત કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ લો ટેન્શન વીજ લાઈનોને પણ અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવામાં આવશે.રાજ્ય સરકારના મતે આ પરિવર્તનથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે અને વીજળી સંબંધિત ટેકનિકલ ખામીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
કુદરતી આફતો સામે વધશે સુરક્ષા
વાઘાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા, ભારે વરસાદ અને અન્ય કુદરતી આફતો દરમિયાન ઓવરહેડ વીજ લાઈનો તૂટવાના અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ બનતી હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી આવા જોખમોમાં ઘટાડો થશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તથા અવિરત વીજ પુરવઠો મળી શકશે. તેમણે કહયું હતું કે આ યોજના માત્ર વીજ લાઈનોને ભૂમિગત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ 21મી સદીના આધુનિક, સ્માર્ટ અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટેનું એક ઐતિહાસિક પગલું છે.