Gujarat

રાજ્યમાં નવા 4 પોઝિટિવ સાથે કુલ 179 દર્દી, 2 મોત

રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે દશ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોનાના નવા ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 179 પર પહોંચી છે.જ્યારે 2 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 16 લોકોના મોત થયા છે જ્યારે 25 રિકવર થયાં છે. કોરોનાના સૌથી વધુ 83 દર્દી અમદાવાદમાં છે. ત્યારબાદ સુરતમાં 23, ભાવનગરમાં 16, ગાંધીનગર અને વડોદરામાં 13-13 કેસ છે જ્યારે રાજકોટમાં 11 કેસ છે. કોરોનાના કારણે અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગર અને વડોદરામાં 2-2 જ્યારે જામનગર પંચમહાલ અને પાટણમાં 1-1 વ્યક્તિનું મોત થઇ ચૂક્યું છે.દરમિયાન ગઇકાલે રાત્રે રાત્રે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારે કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમએલએ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરી તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતાં ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top