Vadodara

મેઇન્ટેનન્સના અભાવે સિટી બસનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ પડીકે બંધાયા

વડોદરા: વડોદરા શહેરના રાજમાર્ગો પર દોડતી વિનાયક લોજિસ્ટિકની બસોનું મેન્ટેનન્સ બરાબર રીતે નહીં થવાથી અકસ્માતના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.જેમાં આજરોજ મુસાફરો ભરેલી એક સીટી બસનું ટાયર ફાટતા તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની થવા પામી નથી. વડોદરા શહેરના રાજમાર્ગો પર વિનાયક લોજિસ્ટિકની સીટી બસો બેફામ દોડતી હોવાના બનાવો અનેકવાર બને છે.જેમાં કેટલાય વાહન ચાલકોને અકસ્માતમાં ઇજા પહોંચી હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જેમાં સોમવારે સીટી બસ ડેપોથી આજવા રોડ તરફ જતી વિનાયક લોજિસ્ટિકની સીટી બસ એસએસજી હોસ્પિટલ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે સલાટવાડા ત્રણ રસ્તા ખાતે બસનું આગળનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા.  જોકે વરસતા વરસાદમાં બસની ગતિ માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની હોવાથી અકસ્માતનો મોટો બનાવ ટળ્યો હતો.

Most Popular

To Top