Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં જળસંકટનાં એંધાણ, આ કારણસર ખેડૂતોએ હંગામો મચાવ્યો

ભરૂચ: સરદાર સરોવર નિગમની (Sardar Sarovar Nigam) મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં ડભાલી ગામ નજીક મોટું ગાબડું પડ્યું છે અને ગાબડાના કારણે ખેડૂતોના (Farmer) ખેતરમાં (Farm) જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં ખેડૂતોએ વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી છે. આ સાથે નગરપાલિકાએ પણ નગરજનોને અપાતા પાણી પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે ભરૂચ (Bharuch) જિલ્લામાં જળસંકટનાં એંધાણ છે.

રાજપીપળાથી વાગરા દહેજની ઔદ્યોગિક વસાહતને જોડતી સરદાર સરોવરની મુખ્ય કેનાલ અમલેશ્વર બ્રાન્ચની ૭૦ કિલોમીટરની કેનાલ જર્જરીત બની છે. જેના પગલે ભરૂચ તાલુકાના ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડવાના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોએ પણ પાલમાલ થવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે, તંત્રની બેજવાબદારી ભરી કામગીરીને કારણે કેનાલમાં ગાબડું પડતાં તૈયાર પાક પર પાણી ફરી વળતાં લાખો રૂપિયાની ખેતીને નુકસાન થયું છે. જેના પગલે ખેડૂતો પાયમાલ થયા હોય વળતરની ઉગ્ર માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી વળતર નહીં ચૂકવાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ નજીક ડભાલી ગામ પાસે કેનાલમાં ગાબડું પડવાના કારણે ભરૂચવાસીઓને પણ જળ સંકટ ઊભું થયું છે. કારણ કે, આ જ કેનાલ મારફતે અમલેશ્વરની બ્રાન્ચમાંથી ભરૂચ નગરપાલિકા પાણીનો પુરવઠો ભરૂચવાસીઓને પૂરું પાડતી હતી. કેનાલ મારફતે પાણી માતરિયા તળાવ અને માતરિયા તળાવથી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચી ભરૂચવાસીઓને પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ અમલેશ્વરની મુખ્ય કેનાલમાં જ ગાબડું પડવાના કારણે મરામત માટે સમય લાગી શકે તેવું હોવાના કારણે નગરપાલિકાએ ભરૂચવાસીઓને અપાતો પાણીના પુરવઠા ઉપર કાપ મૂક્યો છે અને માત્ર એક જ ટાઈમ પાણી આપવામાં આવનાર છે. જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઊભું થઈ શકે છે. હજુ ૧૦ દિવસ જેટલો ગાબડાં પૂરવા માટે સમય લાગે તેવી ભીતિ વચ્ચે પાણી પણ કરકસર કરીને વાપરવા માટે વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ શહેરીજનોને અપીલ કરી છે.

Most Popular

To Top