Dakshin Gujarat

રેવાએ સર્જ્યો ઇતિહાસ: 53 વર્ષ બાદ નર્મદા નદી ગોલ્ડનબ્રિજે 40.47 ફૂટને સ્પર્શી

ભરૂચ: (Bharuch) નર્મદા કાંઠે વસેલા ભરૂચ જિલ્લામાં રેવામાં રેલએ 53 વર્ષ બાદ ઐતિહાસિક તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પુરના પાણી ભરૂચમાં ગોલ્ડનબ્રિજે મહત્તમ 40.47 ફૂટે સ્પર્શી હવે પાછા ફરવાના શરૂ થયા છે. નર્મદા ડેમના 23 ગેટ ખોલી સાગમટે 18 લાખ ક્યુસેક ઉપરાંત છોડાયેલા પાણીથી હવે ભરૂચ જિલ્લામાં અત્ર, તત્ર અને સર્વત્ર તબાહીનું મંજર સામે આવી રહ્યું છે. 1970ની નર્મદામાં 41.50 ફૂટની ભયાનક રેલ બાદ 53 વર્ષે આધુનિક ભરૂચમાં આ રેલ ભયાવહ પુરવાર થઇ રહી છે. ભરૂચ શહેરમાં જ કસક, ધોળીકુઈ, દાંડિયાબજાર, જુના ભરૂચનો નીચાણવાસ, કસક સહિતના ગામોમાં પુરના પાણી ઘુસી ગયા હતા.

  • ભરૂચ, અંકલેશ્વર સિટી વિસ્તારમાં લોકોના ઘરો અને રસ્તાઓ પર પહેલીવાર નર્મદાના ઘોડાપુર
  • 53 વર્ષ બાદ ગોલ્ડનબ્રિજે નર્મદા નદી 40.47 ફૂટને સ્પર્શી
  • 5.84 લાખ લોકો થયા પ્રભાવિત
  • ચાર તાલુકાના 216 ગામ, 59164 કાચા અને 44911 પાકા મકાનોને અસર
  • 1.24 લાખ હેકટરમાં નર્મદાના પાણી ફરી વળતા ખેતીને જ કરોડોનો ફટકો
  • ડેમમાંથી 18 લાખ ક્યુસેક ઉપરાંતનું અધધ પાણીની સુનામીએ સર્જી તબાહી
  • સાંજે 4 કલાકે સપાટી ઘટી 37.39 ફૂટે નીચે ઉતરતા પાણીમાં ગરકાવ વિસ્તારોના લોકો માટે રાહતના સમાચાર

અંકલેશ્વર શહેરમાં પણ ઘોડાપુર આવતા એક માળ સુધી કેટલાય વિસ્તારો અને સોસાયટીઓ પાણીમાં ગરક થઈ હતી. માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઝઘડિયા, હાંસોટ તાલુકાના કાંઠાના ગામોમાં પણ સુનામી રેલના કારણે તારાજી અને વિનાશના અહેવાલો સામે આવ્યા હતા. સોમવારે સવારે 6 કલાકે નર્મદા નદીએ ગોલ્ડનબ્રિજે 40.47 ફૂટની સપાટી સર કરી હતી. હજારો ઘરો, દુકાનો, ખેતરો, માર્ગો સહિત જ્યાં જૂઓ ત્યાં પાણી પાણીનો બિહાવહ નજારો જોવા મળ્યો હતો.

સુનામી સમાન આ રેકોર્ડ બ્રેક ફ્લડમાં ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિસ્તાર, જિલ્લાના 216 ગામો, 59164 કાચા મકાનો, 44911 પાકા મકાનોને અસર પોહચી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે પુરથી 1.24 લાખ હેકટરમાં પાણી ફરી વળતા ખેડૂતોને કરોડોનો માર પડ્યો છે. વેપાર, ધંધા અને ઉધોગોને પણ પુરને લીધે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ અસર પડી છે. જિલ્લામાં પુરથી 5.84 લાખ લોકો એક યા બીજી રીતે પ્રભાવિત થયા છે. આખી રાત પાણી વચ્ચે હજારો પરિવારોની હાલત અત્યન્ત કફોડી બની ગઈ હતી.

ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમે 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા
અંકલેશ્વર: નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ભરુચ સહિત 5 તાલુકાઓમાં NDRFની ટીમ દ્વારા 6200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રત વિસ્તારોમાં પહોચીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતિર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારોના લોકોને સલામત સાથળે પહોચડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા ,જુની જરસાડ, લીમોદરા, હાંસોટ અને વાગરા તાલુકા મળી કુલ 6254 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


Most Popular

To Top