Gujarat

પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ ASI જયદીપસિંહ સસ્પેન્ડ

ગાંધીનગર: ગત જાન્યુઆરીના રોજ પોલીસ ગ્રેડ પે (police grade pay) મામલે પોલીસ પરિવારની મહિલાઓ (police family women) ગાંધીનગર (Gandhinagar) પોલીસ હેડક્વાર્ટર (Police Headquarter) ખાતે રસ્તા પર ધરણા (strike) પર બેસી ગઈ હતી. આ ધરણાંના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને 9 મહિના વીતી ગયા છે ત્યારે પોલીસ પરિવારની મહિલાઓને ગ્રેડ પે મામલે ઉશ્કેરવા બદલ અરવલ્લીનાં ઈસરી પોલીસ સ્ટેશનના ASI જયદીપસિંહ વાઘેલાને (ASI Jaideep Singh Vaghela) મોડી રાત્રે સસ્પેન્ડ (suspend) કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ થયા બાદ જયદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હા, મને સસ્પેન્ડ કર્યો છે. તેમને મેઘરજ કોર્ટમાં ડ્યૂટી આપવામાં આવી હતી. તેઓ રોજ અપડાઉન કરતા હતા. તેમણે કહ્યું કે જ્યારે મેં મારી ફરજ પૂરી કરી ઈસરી પોલીસ સ્ટેશન પહોંચ્યો ટપાલ આપવા માટે ત્યારે PSI વી એસ દેસાઈ મને સસ્પેન્શન ઓર્ડર આપ્યો હતો. તેમણે કહ્યું કે મને સસ્પેન્ડ કરાયો છે એ ઉચિત નથી તેમ છતાં વિભાગના હુકમનું પાલન કરીશું.

આ કારણસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગાંધીનગર પોલીસ હેડકવોર્ટ ખાતે પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓ ધરણાં પર બેઠી હતી. ત્યારે જયદીપ સિંહની હાજરી પણ ત્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે ત્યારે મારી પત્નીને કમરનો દુખાવો હતો એટલે હું રજા પર હતો. મહિલાઓ ગ્રેડ પે બાબતે વિરોધ કરતા હતા એ સમયે પોલીસે તેમની સાથે બળજબરી કરતા હતાં. તેથી હું સમજાવવા ગયો હતો કે જો મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો? આટલું કહીને મારાં બાળકોને ટ્યુશનનો સમય થઈ ગયો હતો એટલે હું ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારે હવે 9 મહિના બાદ ગ્રેડ પે મામલે પોલીસે ASIને સસ્પેન્ડ કર્યા છે.

આ અગાઉ પણ પોલીસકર્મી હાર્દિક પંડ્યા અને નીલમ મકવાણાએ પણ ધરણાં કર્યા હતા. ગ્રે પેડ મામલે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી હાર્દિક પંડ્યા વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. આ સિવાય અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણાં પર બેઠાં હતાં. તેમણે કહ્યું હતું કે “જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરશે”એ રીતે પોતાના વ્હોટ્સએપમાં સ્ટેટસ મૂકી ગ્રેડ પેની માંગણી કરી હતી. ત્યાર બાદ તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.

આ આંદોલન બાદ સરકારે ઝૂકવું પડ્યું હતું અને કમિટી નિમણૂંક કરી હતી. જો કે રાજ્ય સરકારે પોલીસકર્મીઓ સામે શિસ્તભંગનો કોરડો ઉગામી 229 પોલીસકર્મીઓની રાજ્યમાં બદલી કરી દીધી હતી. સરકારે પેકેજ જાહેર કરતાં એ.એસ.આઇને 5,84,094 રૂપિયા પગાર, પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 4,16,000 રૂપિયા પગાર મળશે.પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 4,95,000 રૂપિયા પગાર મળશે. LRD જવાનોનો વાર્ષિક પગાર 3,47,250 રૂપિયા રહેશે.

Most Popular

To Top