Dakshin Gujarat

કાપોદ્રાના યુવકની પ્રેમસંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રામાં પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધની (love Affair) શંકા રાખીને મહિલાના પતિ અને સાળાએ ઉમરવાડા ગામની સીમ પાસે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા (Murder) કરી હોવાની શંકા મૃતકની માતાએ જાહેર કરી છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં ૨૩ વર્ષીય જિગર અમરસિંગ વસાવા પોતાના પરિવાર સાથે રહેતો હતો. જિગર વસાવાનો એક વર્ષ પહેલાં એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો. જે અંગેની જાણ તેના પતિ રાકેશને થતાં બંને પરિવાર વચ્ચે તકરાર થયા બાદ બંને પક્ષે સમાધાન થયું હતું.

ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
જો કે, ત્યારબાદ પણ પરિણીતાનો પતિ રાકેશ અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવા બંને જિગર પર શક કરીને અવારનવાર જિગર જોડે ફોન પર અને સામે અપશબ્દો બોલીને વિવાદો ઊભા કરતા હતા. ત્યારબાદ ગઈકાલે ૧૮મી ઓક્ટોબરે ઉમરવાડા ગામની સીમમાંથી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જિગર વસાવાને શરીર ઉપર ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યાની શંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ બનાવ અંગેની જાણ પાનોલી પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મૃતકની માતાએ પોલીસમથકમાં રાકેશ વસાવા અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવાની ઉપર હત્યાની શંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેય આરોપીને હત્યાના શકદાર આરોપી ગણીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top