Dakshin Gujarat

નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ભરૂચ માર્ગ અકસ્માત (Accident) ઝોન બન્યો છે. દર ચોવીસ કલાકે આ માર્ગ પર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરી નર્મદા મૈયા બ્રિજ (Bridge) ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે જેના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તો કેટલાય લોકો મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રવિવારે મોડી સાંજે પણ સર્જાયેલ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો એક યુવકનું મોત નીપજ્યું હતું.

  • નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
  • ત્રણ કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગત રાત્રીના સમયે ભરૂચ તરફના છેડે ત્રણ કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જે બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરી માર્ગને ખુલ્લો મુક્યો હતો.

મોડી સાંજે વરસેલા વરસાદ બાદ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. કહેવાય છે કે બ્રિજ પર પૂર ઝડપે પસાર થતા વાહનો વરસાદના કારણે રસ્તા પર સ્લીપ મારતા દેખાયા હતા જેને પગલે એક બાદ એક અકસ્માત સામે આવ્યા હતા. હાલ તો આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નર્મદા મૈયા બ્રિજ પર તમામ વાહનોએ 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપ જાળવવી પડશે
અંકલેશ્વર: ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ઓવર સ્પીડને લઈ તંત્રએ લીધા કડક પગલા લીધા છે. હવે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી 40 કિલોમીટરથી વધારે ઝડપે વાહન ચલાવવા પર ગુનો નોંધાશે. વધતા અકસ્માતો ઉપર રોક લગાવવા તમામ વાહનોની ગતિ પર બ્રેક લગાડવાનો નિર્ણય લેવાયો છે.

ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર 4 માર્ગીય ₹400 કરોડનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જોકે નવા ફોરલેન બ્રિજ પર ગતિની મજા માણતા હજારો વાહનચાલકોને લઈ છેલ્લા કેટલાક સમયથી લગાતાર અકસ્માતોનો સિલસિલો જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે વરસતા વરસાદમાં 3 વાહનો અને એક એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની રહ્યો હોય જેની ગંભીર નોંધ લઈ સોમવારે આખે આખું તંત્ર બ્રિજના નિરીક્ષણ કરવા પહોચ્યું હતું.

નર્મદા બ્રિજ પર વધતા જતા અકસ્માતોનું કારણ તપાસતા પ્રાથમિક દ્રષ્ટિએ બ્રિજના માર્ગની સરફેશ વધુ પોલિશ્ડ હોવાથી વાહનો વધુ ઝડપે જતા હોવાનું અને ઓછી લાઇટિંગનું કારણ સામે આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ શકયતા, તારણો અને કારણો તપાસી આજથી જ બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની સ્પીડ 40 ની કરી દીધી છે. એટલું જ નહીં બ્રિજ પર લાઇટો વધારવામાં આવશે. અમુક અંતરે સાઈન બોર્ડ મુકવા સાથે રસ્તાની ઉપરી સપાટીને રફ કરવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં એક્સિડન્ટ અટકાવવા રીફલેક્ટરો મુકવા સાથે વાહનોની ગતિ મર્યાદિત રહે તે માટેની કામગીરી પણ હાથ ધરવામાં અવનાર છે.

Most Popular

To Top