Charchapatra

હું માનવી માનવ થાઉં તો ઘણું

ખરેખર આપણે કઠણ કાળજાનાં થઇ ગયાં છીએ, મોતનો મલાજો પણ જાળવતા નથી તો જાનવરની ઉપમા આપવી શી રીતે? ભગવાને માનવીને બનાવ્યાં ત્યારે તેને હૃદય આપ્યું અને એમાં અગણિત લાગણીઓ ભરી દીધી, જેમ કે પ્રેમ, કરુણા, રાગ-દ્વેષ, દયા વગેરે કોઈના સુખ કરતાં પણ દુ:ખમાં જે સાથ આપે તેનું નામ માનવ. પણ અફસોસ, આજે આપણે અભિમાન અને દંભમાં આપણી માનવતા જ ભૂલી ગયા છીએ. આજનો જમાનો ટેકનોલોજીનો છે. ઘણાં કામો મોબાઈલથી થઇ જાય છે. પરંતુ એવાં કેટલાંક કામો માનવી થકી પણ થઇ શકે છે. પરંતુ  આપણામાં રહેલા અહંકારથી આપણે માનવી બની શકતા નથી. દરેક માનવીમાં કાંઇક ને કાંઇક ખૂબી હોય છે. પરંતુ આજે આપણા કોઇ પણ પ્રકારના વ્યવસાયનો સંબંધ જીવતા માનવો સાથે છે.

આજે તો વ્યાપારી વર્ગ ખાદ્યચીજોમાં જીવલેણ ભેળસેળ કરે છે ને નોકરિયાત વર્ગ સ્વાર્થીને લાલચુ બની ગયો છે. સૌ પોતે પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર સમૂહનું હિત ભૂલી ગયા છે. બે સહોદર વચ્ચે પણ માનવતાભર્યા સંબંધો જોવા નથી મળતા. આજે માનવતાપણું ઓછું થઇ રહેલું જોવા મળે છે. દોસ્તો, આપણે સૌ અને હું પોતે મનોમન બસ એક જ સંકલ્પ કરવાનો છે કે : હું ભલે બીજું કાંઇ થાઉં કે ન થાઉં, પણ માનવ થાઉં તો ઘણું છે. જે વ્યક્ત જન્મે માનવ હોવા છતાં કર્મને ધર્મ જો માનવ ન હોય, એના વ્યવહારમાં માનવતાનો છાંટોય ન હોય તો એ માનવદેહે પણ આ ધરતી પર ભારરૂપે બની રહેલા હિંસક પશુ જ છે. આજના માનવીએ માનવપણું ગુમાવ્યું છે. ત્યારે જ આ કહેવાની કડવી ફરજ બજાવવી પડે છે. ‘હે માનવી! તું પ્રથમ માનવી તો થા!’
સુરત     – આરતી જે. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top