National

હૈદરાબાદમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 11 મજૂરો જીવતા સળગી ગયા

તેલંગાણા: તેલંગાણાની (Telangana) રાજધાની હૈદરાબાદના (Hyderabad) ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં (Scrap godown) ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂરો જીવતા બળી ગયા હતા. મૃત્યુ (death) પામેલા તમામ મજૂરો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે અને તેઓ અહીં જંક વેરહાઉસમાં કામ કરતા હતા. તે જ સમયે, સ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને કહ્યું કે તમામ 11 મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેલંગાણાના સીએમ કેસી રાવે આગમાં બિહારના કામદારોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી અને મુખ્ય સચિવને આ ઘટનામાં માર્યા ગયેલા કામદારોના મૃતદેહોને પાછા લાવવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

શટર બંધ થવાને કારણે મજૂરો અંદર જ ફસાયા ગયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, જંક વેરહાઉસના પહેલા માળે 12 મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી જંક શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે એક મજૂર જે ભાગવામાં સફળ રહ્યો હતો તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 

ફાયર કંટ્રોલ રૂમને સવારે 3 વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી કામ કર્યું હતું. ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ રાખવામાં આવ્યા હતા. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ 11 મૃતદેહો મળી આવ્યા હતા. એકબીજાની ઉપર પડેલા હતા. મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

Most Popular

To Top