Vadodara

નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોર પૈકી એકનું મોત, એકનો બચાવ

વડોદરા: વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બાળકનો આબાદ બચાવ થયો હતો. ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પાસે અંકોડિયા ગામ નજીક રહેતા બે બાળકો શીવુ ભાવેશભાઇ નાઇ(ઉં.13) અને ચાર્લ્સ વિશાલભાઇ ક્રિશ્ચિયન(ઉં.14) ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના વહેતા પાણીમાં તે ડૂબી ગયા હતા.

બાળકોએ બચાવો..બચાવો..ની બુમરાણ મચાવતા તે સમયે પસાર થઇ રહેલા પ્રવિણભાઇ પ્રજાપતિ કેનાલ પાસે પહોંચી ગયા હતા અને એક મહિલાની મદદથી ડૂબી રહેલા બંને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ 13 વર્ષના શિવુ નાઇને બાળકને બચાવી શક્યા હતા. જ્યારે બીજો બાળક ચાર્લ્સ ક્રિશ્ચિયન પાણીમાં લાપતા થઇ જતાં તેની શોધખોળ કરી હતી. લાપતા બાળક મળી ન આવતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ટીપી-13 ફાયરબ્રિગેડના લાશ્કરો બનાવની જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને કેનાલમાં લાપતા થયેલા બાળકની લાશ શોધી પોલીસને સોંપી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ નર્મદા કેનાલ મોતની કેનાલ બની રહી છે. આ કેનાલમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે કેનાલમાં ન્હાવા પડેલા 14 વર્ષના કિશોરો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા પ્રવીણ પ્રજાપતિ નામના યુવાને બાળકોને ડૂબતા જોઈ મહિલાની મદદથી ડૂબી રહેલા બે બાળકો પૈકી એક બાળકને બચાવી બહાર કાઢ્યો હતો અને બચાવી લેવાયેલા બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં શિવુ નાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરના મોતને પગલે અંકોડિયા પંથકમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top