પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય સંસ્કૃતિમાં આ માસનું આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. આ મહિનો એટલે ભક્તિભાવ, વ્રત-તપ અને દાન-પુણ્યનો મહિનો. આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજન કરવા જતા હોય છે. આ ભક્તિમય માહોલ વચ્ચે આપણે એક સંવેદનશીલ અને ચિંતનશીલ વિચાર અપનાવવા જેવો છે. જ્યારે આપણે મંદિરે જઈએ છીએ, ત્યારે મંદિરના ગર્ભગૃહની અંદર બિરાજતા પરમાત્માની સાથે સાથે, મંદિરના ઉંબરે કે બહાર બેઠેલા ‘દરિદ્રનારાયણ’ તરફ પણ આપણી નજર જવી જરૂરી છે. ઈશ્વરના આશીર્વાદ સમાન એ પ્રસાદ જ્યારે કોઈ ગરીબના પેટમાં જશે અને એના ચહેરા પર જે તૃપ્તિનું સ્મિત આવશે, તે જ સાચી પ્રભુ પૂજા બનશે. આમ પણ, ભગવાન ક્યારેય ભોગના ભૂખ્યા નથી હોતા, તેઓ તો ભાવના જ ભૂખ્યા છે. કોઈ ભૂખ્યા જીવનો આત્મા ઠારવો એનાથી મોટું કોઈ પુણ્ય હોઈ શકે નહીં.
સુરત – ચારુલતા અનાજવાળા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.