India

વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ? જાણો પાછળનું ‘ચમત્કાર’

વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કાચા તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્યપૂર્વ વિસ્તારમાં વધતા તણાવ અને હોર્મુઝ જળસંધિ સંકટને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યા છે. છતાં ભારતના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો નથી. આ પરિસ્થિતિને ઘણા લોકો ‘ચમત્કાર’ તરીકે જોઈ રહ્યા છે. પરંતુ તેના પાછળ કેટલાક મહત્વપૂર્ણ આર્થિક કારણો જવાબદાર છે.

મુખ્ય કારણ એ છે કે ભારતની સરકારી તેલ કંપનીઓ જેમ કે Indian Oil, BPCL અને HPCL હાલમાં વૈશ્વિક ભાવવધારાનો ભાર પોતાના ઉપર લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધ્યા હોવા છતાં ગ્રાહકોને તાત્કાલિક અસર ન પડે તે માટે કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ સસ્તા દરે વેચી રહી છે. પરિણામે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલ વેચાણ પર નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

બીજું મહત્વપૂર્ણ કારણ સરકારની ભાવ સ્થિરતા નીતિ છે. સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો ન લાગે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ટેક્સ માળખું તથા ભાવ નિયંત્રણની નીતિ દ્વારા બજારમાં અચાનક વધારો થતો અટકાવે છે. ઘણી વખત સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કરીને પણ ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો છે.આ ઉપરાંત ભારતમાં પેટ્રોલ, ડીઝલના રિટેલ ભાવ તરત જ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ ભાવ સમીક્ષા કરે છે, પરંતુ રાજકીય, આર્થિક અને મોંઘવારીના પરિબળોને ધ્યાનમાં રાખીને ઘણીવાર ભાવ વધારાને થોડા સમય માટે અટકાવવામાં આવે છે. હાલમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે હાલનો સ્થિર ભાવ લાંબા સમય સુધી જાળવી રાખવો સરળ નથી. કારણ કે ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા જેટલું કાચું તેલ આયાત કરે છે. તેથી જો વૈશ્વિક બજારમાં ભાવ વધુ સમય સુધી ઊંચા રહે તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી શકે છે.હાલ માટે સામાન્ય ગ્રાહકોને રાહત મળી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલુ અસ્થિરતા ધ્યાનમાં લેતા આગામી સમયમાં ઇંધણના ભાવ કઈ દિશામાં જશે તે પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

Most Popular

To Top