National

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે તા.5 ઓગસ્ટને મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સત્યપાલ મલિક ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ, આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ઓક્ટોબર 2017થી ઓગસ્ટ 2018 સુધી બિહારના રાજ્યપાલ હતા. તેમને 21 માર્ચ 2018 થી 28 મે 2018 સુધી ઓડિશાના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી સત્યપાલ મલિકને ગોવાના 18મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.

સત્યપાલ મલિકની રાજકીય સફર
સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946 ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવાડા ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને એલએલબી કર્યું હતું. 1968-69 માં, તેઓ મેરઠ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી. રાજકારણી તરીકે તેમનો પ્રથમ મુખ્ય કાર્યકાળ 1974-77 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકેનો હતો. તેમણે 1980 થી 1986 અને 1986-89 દરમિયાન રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1989 થી 1991 સુધી જનતા દળના સભ્ય તરીકે અલીગઢથી 9મી લોકસભાના સભ્ય હતા.

તેઓ લોકદળ છોડીને કોંગ્રેસમાં જોડાયા
1980માં ચૌધરી ચરણ સિંહના નેતૃત્વ હેઠળના લોકદળ દ્વારા સત્યપાલ મલિકને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ 1984માં કોંગ્રેસમાં જોડાયા અને 1986માં પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેમણે 1987માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વી.પી. સિંહ સાથે જોડાયા. 1989માં તેમણે જનતા દળના ઉમેદવાર તરીકે અલીગઢથી લોકસભાની ચૂંટણી જીતી અને 1990માં થોડા સમય માટે સંસદીય બાબતો અને પર્યટન રાજ્યમંત્રી તરીકે સેવા આપી.

2004 માં મલિક ભાજપમાં જોડાયા
મલિક 2004માં ભાજપ જોડાયા હતા અને બાગપતથી લોકસભા ચૂંટણી લડ્યા, પરંતુ તત્કાલીન આરએલડી વડા અજિત સિંહ સામે હારી ગયા. મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં જમીન સંપાદન બિલ પર વિચાર કરતી સંસદીય ટીમના વડા તરીકે મલિકની નિમણૂક કરી. તેમની પેનલે બિલ સામે ઘણી ભલામણો કરી જેના પગલે સરકારે મુખ્ય સુધારાને પડતો મૂક્યો. કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયા પછી સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત થનારા પ્રથમ રાજકારણી હતા.

Most Popular

To Top