ગાંધીનગર: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલા બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલું આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ-એકતા, ભારતીય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને આંતરધર્મીય સંવાદિતાનું પ્રતીક બની રહ્યું છે.
આ મંદિરના ઉદઘાટન નિમિત્તે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા 12 દિવસીય વિશિષ્ટ ઉત્સવ–’ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા ભારત અને આફ્રિકન સંસ્કૃતિ-પરંપરાઓ વચ્ચેના સુદીર્ધ અને ગાઢ સંબધોને ઉજાગર કરશે.
5.9 હેક્ટરમાં ફેલાયેલું અને 37,000 ચોરસ મીટરથી વધુ બાંધકામવાળું આ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે. આ મંદિર અનેકવિધ પૃષ્ઠભૂમિના લોકોને શાંતિ અને સૌહાર્દની પ્રેરણા પૂરી પાડશે. કળા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું ધામ: આ મંદિર હિંદુ આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક પરંપરાના સમૃદ્ધ વારસા અને ઉત્તમ શિલ્પકલાનું સૌને દર્શન કરાવે છે. બહુસાંસ્કૃતિક અને આંતરધર્મીય સંવાદિતાનું કેન્દ્ર: આ મંદિર દરેક ધર્મ અને જાતિના લોકો વચ્ચે સંવાદિતા, સેવા અને પ્રેરણાનો સેતુ બની રહેશે. એક શાશ્વત વારસો: સેંકડો સ્વયંસેવકોની નિષ્ઠા અને સેવાભાવથી બનેલું આ મંદિર નિઃસ્વાર્થ સેવા અને ભક્તિનું પ્રતીક છે. એન્વાયર્મેન્ટલ સસ્ટેનિબિલિટીના ભાગરૂપે મંદિર પરિસરમાં 100 કરતાં વધારે વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે.
દક્ષિણ આફ્રિકામાં અનેક વર્ષોથી ગતિમાન બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવાકાર્યોમાં આ મંદિર એક સીમાચિન્હરૂપ બની રહેશે, જે વર્તમાન અને આવનારી અનેક પેઢીઓમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિકતાને જીવંત રાખશે.