Comments

અભિવ્યક્તિનો ઉત્સવ એટલે નવરાત્રી અને સમાજ સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ એટલે ગરબો

ગુજરાત નવરાત્રીના તાલે ઝૂમી રહ્યું છે. ગયા વર્ષે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને વિશ્વના જીવંત સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપ્યું છે ત્યારે નવરાત્ર અને ગરબા વિષે થોડી સમજ કેળવવી જરૂરી બને છે.  ભારતમાં વર્ષમાં દેવી પૂજાના મહત્ત્વની દૃષ્ટિએ ચાર નવરાત્રી આવે છે. જેમાંથી બે નવરાત્રી ખૂબ મહત્ત્વ ધરાવે છે. બીજી બે ગુપ્ત નવરાત્રી છે. જે મોટે ભાગે ઉપાસકોમાં જાણીતી છે. મુખ્ય બે નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને શરદ ઋતુમાં આવતી શારદીય નવરાત્રી.

ચૈત્રી નવરાત્રી ઉપાસકો માટે અગત્યની છે. તો અત્યારે જે ચાલે છે તે આ શરદની નવરાત્રી ગુજરાતમાં ગરબાપ્રેમીઓ માટે મહત્ત્વની છે. નવરાત્રી આખા દેશમાં ઉજવાય છે. પણ નવરાત્રીઓમાં ગરબા ગાવા કે નાચવાની પરમ્પરા માત્ર ગુજરાતમાં છે. કદાચ દેશ જ્યારે ખેતીપ્રધાન હતો ત્યારે ગુજરાતમાં ચોમાસું પાક ઊગ્યા પછી ખેડૂતો આ સમયમાં પાક સાચવવા મોડી રાત સુધી જાગતા હશે. આ સમયમાં ઘરકામ પતાવ્યા પછી નવરી પડેલી સ્ત્રીઓએ માતાની ઉપાસનાના ગીત સ્તુતિ આરતી બહાર ચોકમાં કરવાનું વિચાર્યું હશે.

જેમાં થોડું નૃત્ય ભળ્યું હશે. તાળીઓના તાલે સમૂહમાં નાચવાની, ગાવાની પ્રવૃત્તિ શરૂ થઇ હોવી જોઈએ. શરૂઆત હમેશાં ધર્મ કે શ્રધ્ધાકેન્દ્રી થાય. પછી, તેમાં સમાજ ઉમેરાય તે ન્યાયે શરૂઆતમાં માતાની આરાધના અને માતાના ભક્તિ ગરબાથી થઇ હશે, પછી તેમાં બહેનોએ પોતાનાં ઊર્મિ ગીતો ગાવાનું શરૂ કર્યું હશે. છિદ્રોવાળા માટીના ઘડાની જરૂરિયાત જ એટલે સર્જાય કારણ દીવો ચોકમાં મૂકવાનો હોય.તે પવનથી ઓલવાય નહીં અને તેને જરૂરી હવા મળતી રહે. વચમાં દીવો મૂકી ગોળમાં ફરતી બહેનો તાલી લેવા કેડમાંથી સહેજ નમે તો આ દૃશ્ય પોતે પણ એક ગરબાનું સર્જન કરે છે.

“ગરબો”…જેના ગર્ભમાં પ્રકાશ છે તે ..છિદ્રોવાળા માટીના ઘડામાં દીવો મૂક્યો છે તેને આપણે “ગરબો’કહીએ છીએ. આ ગરબો એ અભિવ્યક્તિનું પ્રતીક છે. જો નિયમો બંધનોવાળું સમાજજીવન એ માટીનો ઘડો છે તો તેમાં રહેલાં છિદ્રો એ આપણા તહેવારો છે. આ છિદ્રો આપણી લાગણી, આપણી અભિવ્યક્તિને પ્રગટ થવાની તક આપે છે. વિજ્ઞાનની રીતે અગ્નિ એટલે કે દીવાને પ્રજ્વલિત રહેવા માટે ઓક્સીજન એટલે કે હવા જોઈએ અને પ્રકાશને બહાર ફેલાવવા માટે જગ્યા જોઈએ. આ બન્ને પ્રમાણસર હોવું જરૂરી.

ઘડો હવાથી દીવાને ઓલવાઈ જતો બચાવે છે અને છિદ્રો દીવાને જરૂરી હવા મળી રહે તે વ્યવસ્થા પૂરી પાડે છે. દીવાનો પ્રકાશ છિદ્રો દ્વારા બહાર આવે છે એટલે એક મોહક આકૃતિ બને. સમાજજીવનમાં આવતા આવા પરમ્પરાગત તહેવારો,ઉત્સવ માણસને અભિવ્યક્ત થવાની તક પૂરી પાડે છે. આ લોકસમૂહની અભિવ્યક્તિ સમાજજીવનનું પ્રતિબિંબ ઝીલે છે. જો કોઈ સમાજને સમજવો હોય, તેની મર્યાદાઓ અને ખૂબીઓ જાણવી હોય તો તેના પરમ્પરાગત ઉત્સવો, વ્યવહારો, ગીતો, કથાઓ વાંચવાં સમજવાં જોઈએ.

“ગરબો”-એ ગુજરાતનું લોક-અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. તે સાહિત્યનો પણ પ્રકાર છે અને નૃત્યનો પણ. આપણા લોકપ્રિય ગરબાઓ આપણી સમાજવ્યવસ્થા, સમજણ, પરંપરાઓ ને અભિવ્યક્તિનો વારસો છે. જો કોઈને ગુજરાતના સમાજજીવન, લોક સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો તેણે ગુજરાતના લોકસાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. લોકસાહિત્ય એ દર્પણ છે. તે સમાજનો જેવો હોય તેવો જ ચહેરો બતાવે છે. આજે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ ચરમ સીમાએ છે. યુવા પેઢી પાર્ટી પ્લોટમાં અને નાનાં બાળકો કે ઉંમરવાળાં લોકો સોસાયટી કે પોળમાં ગરબા રમી રહ્યાં છે. આજે નવમા નોરતે આ ગવાતા ગરબામાં રહેલા સમાજ શાસ્ત્રને સમજવાનો નાનો પ્રયત્ન કરીએ.

આપણા પ્રાચીન ગરબામાં આ માતાની ભક્તિ છે પણ અર્વાચીન ગરબામાં તો માત્ર જીવનની અનુભૂતિ છે જેમકે “માનો ગરબો એ રમે રાજને દરબાર ..અલી સુથારની નાર તું તો સૂતી હોય તો જાગ.આ ગરબો ધ્યાનથી સાંભળો. એમાં સુથારને માની ગરબી બનાવવાનું કહેવાય છે. પછી માળીને ફૂલ સજાવવાનું કહેવાય છે. ઘાંચીની નારને દીવામાં તેલ પૂરવાનું કહેવાય છે. સમાજરૂપી ગરબો પણ બધી કોમ ભેગી મળીને સજાવે છે. એક ગરબો છે, મા પાવા તે ગઢથી ઊતર્યાં મા કાળી રે, માએ વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે ..આ ગરબામાં પણ શહેર કેવી રીતે વસે તેની વાત છે. શહેરમાં ચાર ચૌટા હોય, એક સોનીનો, એક સુથારનો, એક માળીનો, આ ગરબા એમ બતાવે છે કે કોઈ સમાજ, કોઈ દેશ, કોઈ સભ્યતા, કોઈ એકથી નથી વિકસતી, એ તો સૌ સાથે મળીને વિકસાવે છે.

દેશ ત્યારે જ વિકસે, જ્યારે માળી, મોચી,ઘાંચી, વાણિયા, બ્રાહ્મણ સૌ સાથે મળીને કામ કરે. ગરબામાં દેશપ્રેમ પણ ભળે તો કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા જેવો ગરબો આપણને મળે. ગુજરાતના લોકપ્રિય ગરબામાં એક ગરબો છે “મહેંદી તે વાવી માળવે તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો”- સાંભળવા અને સમજવા જેવો ગરબો છે . ભૌગોલિક કથા મુજબ મહેંદી મૂળ રાજસ્થાનમાં મળતી હતી. મહેંદીની શોખીન કોઈ દીકરી પરણી ગુજરાતમાં આવી હશે ત્યારે તે સાથે મહેંદીનો છોડ પણ સાથે લાવી હશે અને ગુજરાતમાં મહેંદી ઊગવાની શરૂ થઇ હશે.પણ આ તો બાયોલોજીકલ વાત છે.

ગરબામાં તો વાત આ નથી, ગરબો તો એક પરિણીત સ્ત્રીની ઊર્મિઓ, લાગણીઓ વ્યક્ત કરે છે. જ્યાં મહેંદી તે વાવી માળવે નો અર્થ છે દીકરી માળવામાં પરણાવી અને તેનો રંગ એટલે કે પતિ ગુજરાતમાં નોકરી અર્થે ગયો. ગીતમાં આગળ આવે છે નાનો દીયરીઓ લાડકો અને લાવ્યો મહેંદીનો છોડ. વાટી ઘૂંટીને ભર્યો વાટકો, ભાભી રંગો તમારા હાથ ……દિયર ભાભીને આગ્રહ કરે છે કે હાથમાં મહેંદી મૂકો પણ ભાભી શું કહે છે? મહેંદી મૂકીને વીરા શું રે કરું તેનો જોનારો પરદેશ રે.આ પરિણીતાની વેદના છે. તહેવાર છે, ઉત્સવ છે , સાજ શણગાર છે પણ એનો જોનારો હાજર નથી.

ગરબા પહેલાં ગવાતો એક છંદ યાદ કરો “અષાડ ઉચ્ચારમ મેઘ મલહારમ બની બહારમ જ્લધારમ”..આમાં અષાડમાં વરસતા વરસાદનું વર્ણન છે. સૂકા પ્રદેશમાં ઉનાળામાં પશુપાલકો ચાર માટે બીજા પ્રદેશમાં જતા ત્યારે પોતાની પત્નીઓને આશ્વાસન આપતા કે વરસાદ થાય એટલે પાછા આવીશું. હવે વરસાદ આવ્યો એટલે ઘરે બેઠેલી પત્ની પોતાના વરને સાદ કરે છે કે વરસાદ વરસે છે .દેડકા બોલે છે . પક્ષીઓ ટહુકે છે. આમ તો હું બળવાન હતી, બધી ઋતુ સહન કર્યું પણ ..આ વરસાદ આવ્યો છે ને તમે “ના લઇ સંભાળમ .. સંભાળ લેતા નથી માટે “મેં બલી ..હારી”..હું હવે હારી ગઈ છું. માટે ગિરધારી હવે ગોકુલમાં પાછા આવો.

ભારતમાં રાધા કૃષ્ણ ન હોય એવું કોઈ સાહિત્ય ના હોય. આ પ્રતીકાત્મક સમજવી જરૂરી છે. ગરબાઓમાં પ્રેમ છે ..ઓ રંગ રસિઆ ક્યાં રમી આવ્યા રાસ ..જેવા મીઠા ઝઘડા છે. સાસરિયા ના ત્રાસની ફરિયાદ છે. પીડા છે, ઊર્મિઓ છે  કે જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે જેવા યુવાનીનાં ગીતો છે. આ ગરબાના અર્થ સમજીએ તો સમાજને સમજી શકાય. આ લોક શિક્ષણનું માધ્યમ છે જો ઉપયોગમાં લઈએ તો. એ માત્ર મનોરંજનથી ઘણું આગળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top