Comments

ભાજપે સુરતમાં કરેલી ભૂલ ગાંધીનગરમાં નો-રિપીટ કરી

ભાજપ માટે ગુજરાત પહેલેથી રાજકીય લેબોરેટરી રહ્યું છે. પાર્ટીની નેતાગીરીએ આ વાતને વધુ એક વાર સાબિત કરી છે. કર્ણાટકમાં યેદ્દિયુરપ્પા જેવા હેવીવેઇટ નેતાને મુખ્યમંત્રીપદેથી હટાવાયા ત્યારે દેશમાં તેનો કોઇ ઇકો સાઉન્ડ પડઘાયો નહોતો, પણ ગાંધીનગરની ગાદીએથી વિજય રૂપાણીને હટાવવામાં આવ્યા એની ચર્ચા આખા દેશમાં ઉપડી. ભાજપે સામી ચૂંટણીએ ગુજરાતમાં આ પ્રકારે નેતૃત્વપરિવર્તન કરીને મોટો વિક્રમ સર્જ્યો કહેવાય. ભાજપમાં જ આવું શક્ય બની શકે છે એવું નરેન્દ્ર મોદીએ સાબિત કરી દેખાડ્યું છે. નો-રિપીટ થિયરીની ચાબૂક વીંઝીને ભલભલા સિનિયર્સને કાબૂમાં કરી લીધા છે.

જેટલી સહેલાઇથી અને સરળતાથી આખોયે એપિસોડ સર્જાયો અને બાદમાં પણ એના કોઇ અવળા પ્રત્યાઘાતો ન પડ્યા એ ભાજપની નેતાગીરીની અને મોદીની મેનેજમેન્ટની સફળતા છે. આ સફળતામાં ચાર ચાંદ લાગ્યા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો થકી. ગાંધીનગરની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો મેળવીને ભાજપે મોટો રેકોર્ડ સર્જ્યો. કોઇ પણ પાટનગર, ભલે પછી તે રાષ્ટ્રનું હોય કે રાજ્યનું હોય, એ એકંદરે એન્ટિએસ્ટાબ્લિસમેન્ટ અભિગમવાળું જ રહેતું આવ્યું છે. ચૂંટણીમાં સરકારવિરોધી જ વોટ પડતા હોય છે. દિલ્હી સ્ટેટ અને દિલ્હી શહેર અત્યાર સુધીની સ્થિતિએ તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ રહ્યાં છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે દિલ્હીમાં ભાજપની સરકારો આવતી હતી. લોકસભાની દિલ્હીની સાતેય બેઠકો વર્ષો સુધી ભાજપના તાબામાં રહી છે. એ જ રીતે ગાંધીનગરનું પણ છે.

ગાંધીનગર મહાપાલિકાની રચના થયા પછીની આ ત્રીજી ચૂંટણી હતી. પહેલી ચૂંટણી 2011 માં થઇ હતી. એ વખતે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. તે છતાં ગાંધીનગર મહાપાલિકાની એ પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ રંગેચંગે જીતી હતી. 2016 ની બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની કટોકટ બેઠકો આવી હતી અને ભાજપે પક્ષપલટા કરાવીને સત્તા હાંસલ કરી હતી. આ વખતે આટલી પ્રચંડ બહુમતી મળી એ ભાજપની ઐતિહાસિક સિદ્ધિ છે. લોકોમાં ઊંડે સુધી ભાજપે સ્થાન હાંસલ કર્યું છે એ વાત તો સ્વયંસ્પષ્ટ છે. કોંગ્રેસ પક્ષ, જે અહીં વર્ષો સુધી શાસન કરી ચૂક્યો છે, તેમ છતાં એણે કારમી હારનો સામનો ચૂંટણીમાં કરવો પડ્યો છે. 44 મી થી માત્ર 2 બેઠકો એણે મેળવી છે, તે દર્શાવે છે કે ભાજપે કેટલી દૃઢતાથી ઊંડાણ મેળવ્યું છે!

હવે રહી વાત ગુજરાતમાં તાજેતરમાં કાઠું કાઢવા લાગેલી આમઆદમી પાર્ટીની. આ પાર્ટી ઘણી મહત્ત્વાકાંક્ષી છે. ગયા ફેબ્રુઆરીમાં યોજાયેલી સુરત મહાપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને તેણે ભાજપને બરાબરની ચૂંટલી ખણી હતી. સુરત મહાપાલિકામાં આમઆદમી પાર્ટીની એન્ટ્રી સાથે કોંગ્રેસ માટે દરવાજા બંધ થઇ ગયા હતા. એટલે કે કોંગ્રેસના વોટ તોડીને એટલે કે ભાજપવિરોધી વોટમાં ભાગબટાઇ કરીને આમઆદમી જીતી હતી. તેમાં પાટીદાર ફેક્ટરે પણ ઘણો ભાગ ભજવ્યો. સુરતના પરિણામ પછી અનેક પાટીદાર ચહેરાઓ આમઆદમી પાર્ટીમાં ભળ્યા હતા, જેને પરિણામે ભાજપી નેતાગીરીને વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ફાળ પડી હતી.

ભાજપના મોવડીમંડળે પોતાના ખુફિયા રિપોર્ટને પગલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી દીધું. ઘણા એવું માને છે કે આમઆદમી પાર્ટીને કારણે જ રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા. સુરતની લપડાકના પડઘા દિલ્હી સુધી ગૂંજ્યા. ગુજરાતમાં આવો જ સિલસિલો જો આગળ વધતો રહે તો 2024 ની  વિધાનસભાની ચૂંટણીમાં 2017 માં મળી હતી એ 99 કરતાં પણ ઓછી બેઠક મળે એવી ભીતિ હતી. તેથી ભાજપ મોવડીમંડળે શક્ય એટલું વહેલું ઓપરેશન પાર પાડી દીધું. પાર્ટી વેળાસર જાગી ન હોત તો ગાંધીનગરની સોનાની થાળીમાં સુરતની જેમ લોખંડની મેખ લાગી જાત. પછી તો બાકી હતી તે કસર ભાઉ અને દાદાની નવી જુગલજોડીએ  પૂરી કરી.

સુરતની જેમ ગાંધીનગરમાં પણ આમઆદમી પાર્ટીએ કોંગ્રેસના જ વોટ તોડ્યા. ભાજપના વોટ અકબંધ રહ્યા ને મોટા ભાગના વોર્ડમાં પેનલો જીતી. કોંગ્રેસને ગાંધીનગરમાં એન્ટિઇન્કમ્બન્સીને માટે ઓવરકોન્ફિડન્સ હતો. આમઆદમી પાર્ટીએ એડીચોટીનું જોર જરૂર લગાડ્યું, ડાયરાના કાર્યક્રમ સહિત સભાઓમાં ભીડ પણ ભેગી કરી. વરસતા વરસાદમાં પણ આમઆદમી પાર્ટીની સભાઓમાં ભીડ ઊમટી, પણ એ વોટમાં કેટલી અને કેમ પરિવર્તિત થઇ શકશે એની ગણતરીમાં ઝાડુ પાર્ટી થાપ ખાઇ ગઇ. વળી એની પાસે ભાજપ જેટલું નેટવર્ક નહોતું. સાથે લોકોએ તેનામાં પૂરતો વિશ્વાસ પણ ન મૂક્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top