બે કિશોરીની છેડતી બાબતે પાટીદાર સમાજે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એ સંપૂર્ણ યોગ્ય કહી શકાય. આ પ્રમાણે અન્ય કોઈ યુવતીની છેડતી કે બળાત્કારની ઘટના જણાય તો પ્રજાજનોએ પણ આક્રોશ અવશ્ય વ્યક્ત કરવો રહ્યો. ક્યારેક ત્યાંથી પસાર થનાર વ્યક્તિ આપણે શું? ની માનસિકતા દર્શાવતા હોય છે! આ વલણ યોગ્ય ન જ કહેવાય. અજાણી વ્યક્તિની મદદ એ પણ સદ્કાર્ય જ કહેવાય. આપણી નજર સમક્ષ કંઈક ખોટું થઈ રહ્યું હોય અને આપણે સક્ષમ હોવા છતાં ‘‘ આંખ આડા કાન’’ કરીને મદદ ન કરીએ એ ઉત્તમ નાગરિકની નિશાની નથી. કોઈની પણ દીકરી કેમ ન હોય પછી ભલે એ શ્રમજીવી હોય કે ગરીબ પરિવારની હોય. એમોલેસ્ટ થતી હોય તો મોલેસ્ટ કરનાર વ્યક્તિને પાઠ બરાબર ભણાવવો જ રહ્યો. જેથી અન્ય વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિ સો વાર આવાં કૃત્યો કરતાં પહેલાં વિચાર કરે. દુબઈ જેવા કાયદા હોવા જોઈએ. અહીંયા તો જેલમાંથી પેરોલ પર છૂટયા પછી પણ આવાં નિર્લજ્જ કૃત્યો કરતાં શરમાતાં નથી! પાટીદાર સમાજે ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. અન્ય સમાજની દીકરીઓ પર પણ જો ભવિષ્યમાં કંઈક ખોટું થાય તો એમની પડખે ઊભા રહેવાની સમગ્ર જનતાની ફરજ છે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે