Madhya Gujarat

વડોદરા વિકાસમાં પાછળ કેમ રહીગયું? મુખ્યમંત્રીની માર્મિક ટકોર

વડોદરા તા.3
ભાજપના નેતાઓની આંતરિક ખટપટો અને નબળી ઈચ્છાશક્તિ ધરાવતી રાજકીય નેતાગીરીને કારણે વડોદરા વિકાસની દોડમાં ઘણું પાછળ રહી ગયું છે તે બાબતે રવિવારે શહેરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના નેતાઓને માર્મિક ટકોર કરતા સવાલ કર્યો હતો કે વડોદરા પાછળ કેમ રહી ગયું?
શહેરના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરતા મુખ્ય પ્રધાને વડોદરાના આગેવાનોને ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડોદરા એ સુરત અને અમદાવાદ બંનેની વચ્ચે આવેલું નગર છે. ત્યારે વડોદરાએ બીજું કઈ કરવાની જરૂર નથી, પરંતુ આ બંને શહેરો તરફ જ નજર કરવાની જરૂર છે. ત્યાં જે વિકાસનું કામ થયું હોય અને વડોદરામાં ન થયું હોય તે કામ મુકવાની જરૂર છે. અમદાવાદ અને સુરત બંનેનો વિકાસ ખૂબ ગતિથી ચાલી રહયો છે, ત્યારે વડોદરા કેમ પાછળ રહી ગયું તે સમજ પડતી નથી. તેમ કહી તેઓએ સત્તાધિશોને ટકોર પણ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ બિલ ગેટ્સ વડોદરા થઈને એસ ઓ યુ ગયા હતા ત્યારે મોટી મોટી હસ્તીઓ વડોદરાથી જ આગળ વધવાની છે જેથી વડોદરા એ પાછળ ન રહેવું જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદ્રઢ નાણાંકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શહેરી વિસ્તાર, આઉ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી આપવામાં આવે છે. ગુજરાત સરકારના બજેટનું કદ રૂ. ૩.૩૨ લાખ કરોડનું થયું છે. તેમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખી જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત્ત અઠવાડિયામાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં રૂ. ૧.૧૦ લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તે રકમ ગુજરાતના બજેટમાં ત્રીજા ભાગની છે.
મુખ્યમંત્રીએ વડોદરા શહેરના ઓ. પી. રોડ ખાતે રૂ. ૨૨.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવીન કલેક્ટર કચેરી(જિલ્લા સેવા સદન)ને જનસમર્પિત કરવા સાથે વડોદરા મહાનગરપાલિકાના જનસુવિધા અને જન સુખાકારીના રૂ.૧૫૬ કરોડ અને વુડાના અંદાજીત રૂ.૫૭૪ કરોડ સહિત કુલ રૂ.૭૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક તરીકે નિમણુંક પામેલ ૫૨૫ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ શહેરમાં ૧૦૧ સ્માર્ટ આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ રૂ.૪.૩૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે ગુજરાતમાં આજે સો જેટલી વૈશ્વિક કંપની ગુજરાતમાં કાર્યરત છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
રાજ્ય સરકારે સરકારી પદો ઉપર નિયમિતપણે અને પારદર્શક રીતે ભરતી થાય તેવી કાર્યશૈલી વિકસાવી છે. આજે એક જ દિવસમાં ગાંધીનગર થી ૧૯૯૦ અને વડોદરામાં ૫૨૫ સહિત ૨૫૧૫ ઉમેદવારોને સરકારી પદોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયા નિયમિત પણે કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે.
નવનિયુક્ત ઉમેદવારોને જન સેવાની શીખ આપતા પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નોના નિવારણ માટે હંમેશા સરકારની સકારાત્મક ઉપસ્થિતિ વર્તાય તે રીતે અરજદારને કોઈ પણ ધક્કા ખાવા ના પડે તે રીતે કામ કરવું જોઈએ.
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે વડોદરાવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. વડોદરાની આંતરમાળખાકીય સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે રિંગરોડની પણ ભેટ મળી છે. આજે એક જ દિવસે ૫૨૫ યુવાનોને રોજગારી આપવામાં આવી છે ત્યારે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ માટેના સૂત્ર GYAN ના મુખ્ય સ્થંભ યુવાનોને રોજગારી આપીને ચરિતાર્થ કર્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા જિલ્લાને રૂ. ૯૨ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી.જેમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે અંદાજિત રૂ. ૩૭ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના લોકાર્પણ અને રૂ. ૩૩.૪૦ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. જે અંતર્ગત રૂ. ૩૩.૭૫ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર રસ્તાની મજબૂતાઈ વધારવાનું અને પહોળાઈ ૭ મીટરથી વધારીને ૧૦ મીટર કરવાના કામ, રૂ. ૩.૧૫ કરોડના ખર્ચે નિર્મિત નવીન ડભોઈ તાલુકા પંચાયત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે રૂ. ૯૮ લાખના ખર્ચે નવીન તૈયાર થનાર કુલ ૧૧ આંગણવાડી ઈમારતોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૩૨.૪૧ કરોડના ખર્ચે પંચાયત માર્ગ અને મકાન પ્રભાગ હેઠળના ૫૧ કિ.મી ના કુલ ૧૯ નવીન રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં બચાવ રાહત માટેની ફાયર વાન અર્પણ કરી હતી.

Most Popular

To Top