Comments

કોણ હશે અને કોના હશે આગલા રાષ્ટ્રપતિ?

અત્યારે તો એવા કોઇ સંજોગ નથી કે વિપક્ષો એક થાય, પરંતુ હવે પછીના રાષ્ટ્રપતિ વિપક્ષના હોય એવા હેતુ સાથે મમતા બેનરજી દોડાદોડી કરી રહ્યા છે. શરદ પવાર પૂરેપૂરા રાજકારણના માણસ છે, એટલે મમતા જ્યારે તેમને મળ્યા તો પવારે ના પાડી કે મારે નથી બનવું રાષ્ટ્રપતિ. શરદ પવાર હા પાડે તો વિપક્ષી એકતાનું ઘણુ કામ થઇ શકે એવો મમતા બેનરજીનો વ્યૂહ ખોટો ન હતો પણ તેમણે સમજવું જોઇતું હતું કે પવારની હજુ પણ ઇચ્છા હોય તો તે દેશના વડાપ્રધાન બનવાની હશે, રાષ્ટ્રપતિ પદ પસંદ કરી લે તેવા તેઓ ‘પ્રણવ મુખરજી’ નથી. તમે અત્યાર સુધીના રાષ્ટ્રપતિ પર પણ નજર નાંખશો તો તે એવા જ હશે જેમની વડાપ્રધાન થવાની શકયતા નહીંવત હતી.

હકીકતે વિપક્ષને એવો ઉમેદવાર મળે કે જે બધાને મનજૂર હોય એવી શકયતા બહુ ઓછી છે. આ વખતે તેઓ ફરી ગોપાલકૃષ્ણ ગાંધીને પોતાના ઉમેદવાર પસંદ કરે એ શકય છે. મહાત્મા ગાંધીના તેઓ પ્રપૌત્ર છે અને 2017માં પણ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષોએ પસંદ કરેલા પણ M. વેંકૈયા નાયડુ સામે હારી ગયેલા. ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના રાજયપાલ રહેવા ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુકત પણ રહ્યા છે. જો તેમને પસંદ કરાય તો યોગ્ય છે પણ વિપક્ષ માટે શાસક ભાજપ કે NDA તેમને પસંદ નહીં જ કરે. મહાત્મા ગાંધીના ચરિત્ર અને કાર્યો વિશે સતત નકાર ઊભો કરનાર પક્ષ કેવી રીતે ગોપાલકૃષ્ણ ગાંધીને પસંદ કરે?

પરંતુ ભાજપ બહુ ઝડપથી આ ઉમેદવાર જાહેર નહીં કરશે. એક વાત નક્કી લાગે છે કે તેઓ વેંકૈયા નાયડુને રાષ્ટ્રપતિપદ માટે તૈયાર નહીં કરશે. તેઓ આ 1 જુલાઇએ 73ના થશે. ઉંમર એક મોટું કારણ છે પણ ભાજપ એવું જરૂર વિચારતો હશે કે દક્ષિણના રાષ્ટ્રપતિ હોય તો વ્યુહાત્મક રીતે સારા રહેશે. 18 જુલાઇએ રાષ્ટ્રપતિપદ માટે મતદાન કરાશે ત્યારે કોણ હશે? હમણાં ભાજપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સર્વસંમત ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા માટે આગળ કર્યા છે. તેઓ અને ભાજપ અધ્યક્ષ J.P. નડ્ડા વિપક્ષના નેતાઓને મળશે. મમતા બેનરજીને પણ મળશે અને સહુ પ્રથમ મળશે. કારણ કે વિપક્ષનું નેતૃત્વ લેવા મમતા કયારનાંય પ્રયત્નશીલ છે. તેમનાથી તે શકય બન્યું નથી તે બીજી વાત. રાજનાથ સિંહ અને નડ્ડા તો TRSના પ્રમુખ ચંદ્રશેખર રાવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ઉપરાંત ડાબેરી નેતા સીતારામ યેચુરીને ય મળશે, પણ આ એક ઔપચારિક પ્રક્રિયા છે, એવું માનીને ચાલવું જ બરાબર છે.

એવું માનવામાં આવે છે કે ભાજપ કદાચ મુસ્લિમ યા આદિવાસી નેતાને રાષ્ટ્રપતિ બનાવે પણ એ શકય જણાતું નથી. લોકસભા યા વિધાનસભા માટે પણ કોઇ મુસ્લિમ નેતાને ટિકીટ ન આપનાર શું સીધા રાષ્ટ્રપતિ બનાવી દે? વળી ગઇ વખતે ય રામનાથ કોવિંદનું નામ તેમણે અચાનક જ જાહેર કર્યું હતું. આ વખતે પણ એમ જ થવાનું છે. હા, કોઇ એવું વિચારી શકે કે અત્યારે કેરળના રાજ્યપાલ એવા આરિફ મોહમ્મદ ખાનને ભાજપ પસંદ કરે પણ આરિફ મોહમ્મદ ખાન જાણીતા કોંગ્રેસી રહ્યા પછી ભાજપમાં આવ્યા છે. તેઓ જનતા દળ, બહુજન સમાજ પક્ષમાં ય રહ્યા પછી 2004થી ભાજપમાં છે. જો મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા જ હોય તો તેમની પાસે મુખ્તાર અબ્બાસ નકવી પણ છે અને મુસ્લિમને રાષ્ટ્રપતિપદ વિચારવાનું હોય તો કોંગ્રેસ પાસે ગુલામ નબી આઝાદ પણ છે.

કાશ્મીર એક મોટો પ્રશ્ન તો કાશ્મીરી નેતા તરીકે પણ તે યોગ્ય રહી શકે પણ કોંગ્રેસ અત્યારે ગુલામ નબી આઝાદ પર બહુ વિશ્વાસ નથી કરતી. તેમના ઉમેદવારને ભાજપ તો શું વિપક્ષો પણ મંજૂર ન રાખે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વને સ્વીકારવા કોઇ વિપક્ષ તૈયાર નથી અને આ બધાથી અલગ એ વાત કે મુસ્લિમને રાષ્ટ્રપતિ બનાવવાથી આ દેશના મુસ્લિમો એકદમ રાષ્ટ્રીય પ્રવાહમાં આવી જાય એ પણ શકય નથી કે કાશ્મીરના પ્રશ્નો ઉકેલાવા માંડે તે પણ શકય નથી. રાષ્ટ્રપતિનું પદ એવું છે પણ નહીં કે રાજકીય વહીવટની સમસ્યાઓ ઉકેલી શકે.

તેમણે રાજકીય રીતે એકટિવ રહેવાનું હોતું નથી. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવાની આખરી તારીખ 29 જૂન છે. તે જેમ જેમ પાસે આવી રહી છે તેમ તેમ લોકો વિચારે છે કે ભાજપ કોને પસંદ કરશે. આ પસંદ કરવાની વાસ્તવિકશકિત ભાજપ – NDAની તરફેણમાં છે. તેમની પાસે 5 લાખ 26 હજાર મૂલ્યના મત છે. કોંગ્રેસના નેતૃત્વમાં જે UPA છે, તેની પાસે 2 લાખ 59 હજાર મૂલ્યના મત છે, એટલે ઉમેદવાર તો NDAનો જ જીતશે.

ખેર! આ બધી ચહલપહલ વચ્ચે લાલુપ્રસાદ યાદવ, જે અત્યારે જેલમાં યા હોસ્પિટલમાં જ વધારે હોય છે. તેમણે કહ્યું છે કે તેઓ પણ રાષ્ટ્રપતિપદના ઇચ્છુક છે. ગઇ વખતે તેઓ ઉમેદવારી નોંધાવવા ગયેલા તો તેમના કાગળો મુજબ આ પદની ઉમેદવારી નોંધાવી શકે તેમ નહોતા. રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા તો અનેક નેતાઓને હોય છે. એક વખત ફારુક અબ્દુલ્લાએ પણ રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા કરેલી પણ તેથી શું? ઇંદિરા ગાંધીના સમયથી રાષ્ટ્રપતિપદની ચૂંટણી એકદમ વ્યૂહાત્મક બની ગઇ છે. સામાન્યપણે દરેક શાસક પક્ષ એવો ઉમેદવાર ઇચ્છે છે જે પોતાના કહ્યામાં રહે.

ઇંદિરાજીએ કટોકટી લાદવાના પત્ર પણ એ રીતે જ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ પાસે સહી કરાવી લીધેલી. ઝૈલસિંઘ કે પ્રતિભાસિંહ પાટીલની પસંદગી પણ એ રીતે જ થયેલી. આપણે કહી શકીએ કે NDA ડો. A.P.J. કલામ જેવાને રાષ્ટ્રપતિ બનાવી આ પદની ગરિમા વધારી દીધેલી. હવે 15મા રાષ્ટ્રપતિ કેવા હશે તે બહુ નજીકના સમયમાં સ્પષ્ટ થઇ જશે. હા, ઘણા તુક્કા લડાવતા હતા કે એ ઉમેદવાર ગુજરાતના આનંદીબેન પટેલ પણ હોય શકે છે તો એ તુક્કો જ રહે તેમ છે. લોકસભાની ચૂંટણી પણ તેઓ સામે જોશે અને દેશના ઘટનાક્રમ પણ જોશે અને આખરે કોઇને આ પદ માટે આગળ કરશે. – બ.ટે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top