Comments

જે મારો લીડર છે તેમને સવાલ પૂછવાનો મારો અધિકાર છે અને જવાબ આપવા તે બંધાયેલા છે

આપણે જયારે કોઈ રાજનેતાને ચૂંટણીમાં મત આપીએ છીએ ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. કયારેક આપણને રાજનેતા વ્યકિતગત રીતે ગમતો હોય છે, કયારેક આપણે આપણો રાજનેતા કયા પક્ષમાં છે તે પક્ષની વિચારધારા આપણને ગમતી હોય છે, પરંતુ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે જયારે કોઈ નેતાને મત આપી તેને જનપ્રતિનિધિ બનાવીએ છીએ તે પાંચ વર્ષ પૂરાં થતાં પહેલાં પોતાનો પક્ષ બદલી બીજા પક્ષમાં જતો રહે છે. ખરેખર તો આપણે ત્યાં એવી વ્યવસ્થા નથી કે પ્રજાએ મત આપે જે આદેશ આપ્યો છે તે આદેશ પ્રમાણે જનપ્રતિનિધિએ પાંચ વર્ષ સુધી તો પોતાના જ પક્ષમાં રહેવું જોઈએ, જેના કારણે જનપ્રતિનિધિ તરીકે ચુંટાવું તે એક ધંધો થઈ ગયો છે, કારણ રાજકારણમાં આવ્યા પછી તમારો ભાવ બોલાતો થઈ જાય છે. જો તમે કોઈ ખાસ કોમના નેતાઓ હો તો ઊંચો ભાવ મળે છે, જેના કારણે ચુંટાયેલા નેતાઓ પ્રજાના આદેશનો વેપાર કરે છે. પરંતુ ગુજરાતમાં એવા નેતાઓ પણ હતા જેમણે પોતાના પદનો કોઈ વેપાર કર્યો નહીં, એ વેપાર થવા દીધો નહીં.

1990 માં ગુજરાત જનતા દળ અને ભાજપની સંયુકત સરકાર બની હતી, પરંતુ રામ મંદિરના મુદ્દે ભાજપે ટેકો પાછો ખેંચી લેતાં ચીમનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. ચીમનભાઈ પટેલ પાસે પોતાની સરકાર બચાવવા માટે એક જ વિકલ્પ હતો, કોંગ્રેસનો ટેકો લેવાનો અને તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી પોતાની સરકાર બચાવી લીધી, પરંતુ ગઠબંધનની શરત પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની સરકારમાં મંત્રી બનાવવાના હતા અને તેના ભાગ રૂપે નવસારી પાસે આવેલા જલાલપુરના ધારાસભ્ય સી. ડી. પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. વ્યવસાયે વકીલ સી. ડી. પટેલે ગૃહમંત્રી થતાં પોતાના તમામ અસીલોના કેસ પરત આપી દીધા, કારણ ગૃહમંત્રી તરીકે તે કોઈ આરોપીની વકીલાત કરી શકે નહીં.

કેબીનેટ કક્ષાના ગૃહમંત્રી હોવાને કારણે તેમને કોઈ પણ આદેશ અને નિર્ણય માટે મુખ્યમંત્રીની રજા અને મંજૂરી લેવાની જરૂર ન્હોતી. સી. ડી. પટેલનો પોલીસ અધિકારીને આદેશ હતો કે રાજયનો કોઈ પણ ગુંડો હોય, પછી તેનો સંબંધ કોઈ પણ પક્ષ અને રાજનેતા સાથે હોય, પણ તમામ ગુંડાઓ જેલના સળિયા પાછળ જોઈએ. સી. ડી. પટેલ જેવા કડક અને પ્રામાણિક ગૃહમંત્રી હોય તો પોલીસ કંઈ બાકી રાખે નહીં, પછી તે અમદાવાદનો ડૉન લતીફ હોય કે જામનગરનો રામા નાથા ગઢવી. પોલીસ ગુનેગાર ઉપર તૂટી પડી હતી.

આ ગુંડાઓ ચૂંટણી જીતવા માટે બહુ મહત્ત્વના ગણાતા હતા. જેના કારણે પોલીસની ધોંસ વધતાં મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ ઉપર વિવિધ સ્તરે રાજનેતાઓના ફોન શરૂ થયા હતા. ચીમનભાઈ પટેલે ભવિષ્યની ગણતરી માંડી સી. ડી. પટેલને ધીમા પડવાની સૂચના આપી હતી, પણ તે સૂચનાની તેમની ઉપર કોઈ અસર થતી ન્હોતી, જેના કારણે નજીકના લોકોને અંદાજ આવી ગયો હતો કે ચીમનભાઈ નારાજ ચાલી રહ્યા છે. એક દિવસ ચીમનભાઈ પટેલે સી. ડી. પટેલને બંગલે બોલાવી કહ્યું, ગૃહ ખાતું મારી પાસે રાખું છું. તમારે કયું ખાતું જોઈએ તે તમે કહો. હું તમે કહેશો તે ખાતું તમને આપીશ. સી. ડી. પટેલે ચીમનભાઈને સવાલ કર્યો કે કયા કારણે મારું ગૃહખાતું બદલાય છે તેનું કારણ આપો.  ચીમનભાઈ તેનું કારણ આપી શકે તેમ ન્હોતા, ત્યારે સી. ડી. પટેલે કહ્યું, તમે મારા લીડર છો તો તમારે મને કારણ આપવું પડશે, કારણ સવાલ પૂછવાનો મારો અધિકાર છે અને તમે જવાબ આપવા બંધાયેલા છો.

ચીમભાઈ પટેલે કારણ આપ્યું નહીં. સી. ડી. પટેલ પોતાના બંગલે ગયા અને કલાકમાં પોતાનું રાજીનામું આપી, જલાલપુર જતા રહ્યા. આમ મંત્રી પદ છોડવા માટે તેમણે જરા પણ વિલંબ કર્યો નહીં. આમ તેમને મંત્રી થવા કરતાં પોતાના સિધ્ધાંતને વળગી રહેવાનું પસંદ કર્યું નહીં, જયારે શંકરસિંહ ભાજપની સરકાર તોડી મુખ્યમંત્રી થયા ત્યારે શંકરસિંહને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. સી. ડી. પટેલ ત્યારે કોંગ્રેસના પ્રમુખ હતા. શંકરસિંહ જે પ્રકારે સરકાર ચલાવી રહ્યા હતા તે જોઈ સી. ડી. ખાસ્સા નારાજ હતા. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને એલ્ટીમેટમ આપ્યું કે શંકરસિંહને મુખ્ય મંત્રી તરીકે ખસેડશો નહીં તો પ્રદેશ પ્રમુખ તરીકે હું ટેકો પાછો ખેંચી લઈશ, જેના કારણે શંકરસિંહને મુખ્યમંત્રી પદ છોડી દેવું પડયું હતું.

કોંગ્રેસ પાસે આટલા દિગ્ગજ નેતાઓ હોવા છતાં આજે કોંગ્રેસી જે પ્રકારે વર્તી રહ્યા છે તે જોતાં લાગે છે, કોંગ્રેસીઓને પોતાના આવા ઉત્તમ ઈતિહાસની પણ ખબર નથી. આવી જ બહાદુરી ભાજપના મહુવાના ધારાસભ્ય ડૉ. કનુ કલસરિયાએ દાખવી હતી. ભાવનગરના મહુવામાં નીરમા સીમેન્ટ પ્લાન્ટ નાખી રહ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમની ઈચ્છા અને મંજૂરીને કારણે નીરમાએ પ્લાન્ટ નાખવાનો નિર્ણય કર્યો હતો. તમામ સરકારી મંજૂરીઓ પણ આવી ગઈ હતી, પરંતુ ભાજપના તત્કાલીન ધારાસભ્ય ડૉ. કનુ કલસરિયાને લાગ્યું કે જો સીમેન્ટ પ્લાન્ટ નંખાય તો પર્યાવરણને નુકસાન થાય તેમ છે.

તેમણે પ્લાન્ટનો વિરોધ કર્યો, જયારે સરકારે મંજૂરી આપી હોય અને સત્તાધારી પક્ષનો ધારાસભ્ય તો સરકારના નિર્ણયનો વિરોધ કરે તેવી કોઈને કલ્પના ન્હોતી. ડૉ. કલસરિયાએ સરકાર સામે વિરોધ નોંધાવવા માટે મહુવાનાં લોકો સાથે મહુવાથી ગાંધીનગર પદયાત્રા કરી, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને પ્લાન્ટની મંજૂરી રદ થઈ. જો કે સરકારનો કાન પકડનાર ડૉ. કલસરિયાને આખરે ભાજપે અલવિદા કહ્યા, પણ તેમણે મહુવાના લોકો અને પર્યાવરણ માટે સત્તા છોડવી પડી હતી. પણ હવેના રાજકારણમાં કોઈ સી. ડી. પટેલ અને ડૉ. કનુ કલસરિયા આપણને મળે તો તે ચમત્કાર જ ગણાશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top