Comments

રાજ્ય ભ્રષ્ટાચારી હોય ત્યાં વ્યક્તિ કેમ નહીં?

નર્મદા બંધના વિરોધમાં યોજાયેલ આદિવાસી રેલીમાં ખડદાની નવી વસાહતના ગ્રામસંયોજક નરસિંહ તડવી પણ હાજર રહેલ. નરસિંહ ગામનો ભણેલ યુવા આગેવાન, આથી તેને ભાષણ કરવા કહેલું. નરસિંહ સફારી સૂટ પહેરીને આવેલ. સભાનું કામકાજ શરૂ થઈ રહ્યું હતું તે દરમિયાન, નરસિંહ તેના ટેકેદારો સાથે આવી પહોંચ્યો. મારાથી સહેજ કહેવાઈ ગયું, “ઓહો, નરસિંહભાઈ આજે વટમાં છે ને !’’ બાજુમાં ઊભેલા ટેકેદારે કહ્યું, ‘“સાહેબ, મનરેગા યોજના.’’નરસિંહે પ્રત્યુત્તર વાળતાં કહ્યું, “એમાં ખોટું શું છે ? ભાઈ તમે જ ન્યાય કરો, ગ્રામ પંચાયત માટેની વિકાસ ગ્રાન્ટ સિવાય અમારે ગામડામાં બીજું કંઈ આવકનું સાધન છે ?’’ જવાહર યોજનાના ખર્ચ અને થયેલ કામોનું મૂલ્યાંકન કરતાં તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીને બિહારના મુખ્ય પ્રધાને લોકસભામાં કહેલું છે, ‘‘જવાહર યોજના ચાય-પાની કે લિયે હી હૈ, તો કામકાજ કે હિસાબ સે કયા મતલબ ?’’

કોઈ પણ કાર્યમાં માન્ય વળતર અને અમાન્ય વળતર વચ્ચેની ભેદરેખા ઘણી પાતળી અને અસ્થિર રહી છે. ચાણક્યના સમયમાં માતા અને ગાયનું દૂધ તથા ભોજન વેચવું એ અસામાજિક ગણાતું અને આજે તમામ ચીજો ધીકતો ધંધો આપી શકે છે. એક સમયે કલાકારની કલાનું મૂલ્ય પૈસામાં અંકાય તો અપમાન ગણાતું અને આજે સંગીત, નૃત્ય, નાટકના શોનું ઍડ્વાન્સ બુકિંગ પ્રતિષ્ઠિત બની ગયું છે. સમયાંતરે ધાર્મિક અને સામાજિક જીવનનાં મૂલ્યોમાં ઘણાં પરિવર્તનો આપણે જાણીજોઈને આણ્યાં છે તેમ સહ્યાં પણ છે. તો અહીં આર્થિક બાબતોમાં કેટલાક નવા ખ્યાલો, કેટલીક નવી રસમો બદલાઈ રહ્યાં છે, તો તે સામે વિરોધ શા માટે ?

વિમાનમાં ટિકિટ લેનારને વિમાનની સફરમાં ઊભા રહેવું પડતું નથી પરંતુ બસ કે ટ્રેઇનની મુસાફરી માટે ટિકિટ ખરીદનારને સીટની ખાતરી મળતી નથી. આથી સામાન્ય માનવીને બસ કે ટ્રેઇનની મુસાફરી માટે પ્રવાસખર્ચ ઉપરાંત વધારાનો બેસવાનો ખર્ચ આપવો પડે છે. પાવતી આપીને સ્વીકારતાં આ નાણાં ખુલ્લો ભ્રષ્ટાચાર નથી બનતો ? સરકારે છાપેલ ટપાલમાં લખાતા પત્રો સામી વ્યક્તિ સુધી પહોંચશે જ તેની ખાતરી તમને પોસ્ટ વિભાગ તરફથી કયારેય મળી નથી. આમ છતાં કોઈ નાગરિકને પોતાનો પત્ર નિશ્ચિત રીતે બીજા સ્થાને પહોંચાડવો હોય તો વધારાની ટિકિટ લગાડી અંડર પોસ્ટલ સર્ટિફિકેટ કરાવવું પડે છે.

આ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર નથી? હિંદુસ્તાનનાં લગભગ તમામ રાજ્યનાં વીજળી નિગમો પોતાના ગ્રાહકોને જરૂરિયાત મુજબ વીજપુરવઠો નિયત દર વસૂલ કરીને પણ પૂરો પાડવામાં સક્ષમ નથી. આથી કેટલાંક ઔદ્યોગિક ગૃહો પોતાની ખપની વીજળી સૌર અને વિન્ડ એનર્જીની મદદથી જાતે ઉત્પાદિત કરી લે છે. આ પ્રવૃત્તિ ખરેખર તો રાજ્યના વીજનિગમોનું ભારણ ઓછું કરનાર આવકારદાયી કામગીરી બને છે. પરંતુ રાજ્ય વીજનિગમો તો પોતાના ખપપૂરતું ઉત્પાદન કરનાર પાસેથી પણ સરચાર્જ મેળવે છે. આ પદ્ધતિને સત્યનિષ્ઠ કે અણિશુદ્ધ ગણીશું ? વાહન ખરીદનાર વાહનોના ઉપયોગ માટે સેલટૅક્સ ભરે છે, છતાં રાજ્ય આજીવન રોડ ટૅક્સ લે છે ! અને રસ્તા ઉપરનાં ટોલટૅક્સ લે છે ! આવી કાર્ય પ્રણાલીને તો ઉઘાડી લૂંટ જ કહી શકાય.

ઉત્સવપ્રિય ગુજરાતના ગરીબ કલ્યાણ મેળા, કૃષિરથ, વાઇબ્રેટ, પતંગ મહોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ આયોજનો માટે રાજ્ય સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી પરંતુ સરકારી અધિકારીઓને પોતાની રીતે લડી લેવા જણાવાય છે. ત્યારે ‘મોસાળમાં જમણ ને મા પીરસનાર’ની સ્થિતિ સર્જાય છે. અનુકૂળ ન્યાય પણ ખરીદી શકાય છે અને વહીવટના ઝાડને તો ઊધઈ ખાઈ ચૂકી છે. આમ છતાં દેશના નોકરિયાત માણસ પ્રામાણિક રહે તેવી અપેક્ષા હાસ્યાસ્પદ નથી?

આજે ગુજરાતના રેવન્યૂ વિભાગમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવામાં ફૂટે નિશ્ચિત ભાવો ચાલે છે. સામાન્યમાં સામાન્ય નાગરિક પણ જો વિભાગના ભાવો ભરપાઈ કરી આપે તો તેની ફાઇલ ૪૦થી ૪૮ દિવસમાં ક્લિયર કરી આપવામાં આવે છે અને આ પદ્ધતિથી બહાર રહી જો કોઈ વગદાર વ્યક્તિને પણ પોતાની જમીન એન.એ. કરાવવી હોય તો ૯૦-૯૦ દિવસના ત્રણ-પાંચ સમયગાળો પસાર કરવો પડે છે. આ પ્રકારનો અનુભવ ઉદ્યોગધંધા શરૂ કરવા માગતા, પોતાના ઘરના બાંધકામને મંજૂર કરાવવા માગતા, પોતાના માલસામાનને એક સ્થળેથી બીજે સ્થળે ફેરવવા માગતા તમામ લોકોને થયો જ હશે.

આ સ્થિતિ છતાં સમાજમાં રોજબરોજનાં કામો સંબંધે દર્શન તો એવું ઉપસી રહ્યું છે કે લોકોને પૈસા ખર્ચવામાં વાંધો નથી પરંતુ વાંધો, પોતાનું કામ ન થાય તે સામે છે. બદલાતા સમયમાં જીવન વધુ ને વધુ સ્પર્ધાત્મક અને અનિશ્ચિત બની રહ્યું છે ત્યારે કોઈ પણ લાભને આવતી કાલ ઉપર મુલતવી રાખવા માટે આમ વ્યક્તિ તૈયાર નથી અને આથી જ શહેર કે ગામડાંમાં રહેતો માણસ પૈસા વેરીને પણ પોતાનું કામ કઢાવવામાં જોખમ લેતો થયો છે અને જ્યાં કોઈ પદ્ધતિ આકાર લે છે ત્યાં લોકોની વિશ્વસનીયતા વધે છે. અહીં પ્રશ્ન પ્રજાના મનોવલણનો બને છે ત્યારે લાભ લેનાર પાત્ર વ્યક્તિ હોય કે સમૂહ હોય પૈસા ખર્ચનાર માટે કંઈ ફરક પડતો નથી. આમ છતાં રેલ્વે, બસની ટિકિટના છૂટા પૈસા પરત ન આપવાનો અભિગમ વ્યાજબી ગણાતો નથી. ત્યારે ઉકેલ ભ્રષ્ટાચાર સામે બરાડા પાડવામાં નથી પરંતુ પદ્ધતિઓના વિકાસને પ્રોત્સાહિત કરવામાં રહેલો જણાય છે. વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે પોલીસ-નર્સ શિક્ષણમાં નિમણૂકો જેવાં ક્ષેત્રોને ભ્રષ્ટાચારના આરોપમાંથી સરળતાથી બહાર લાવી શકાય તેમ છે.

ભ્રષ્ટાચાર વિરોધીઓનો આક્ષેપ ભાવાત્મક અને સાપેક્ષ છે, પરંતુ પ્રજાએ અપનાવેલ ઉકેલ, સહેવી પડતી તકલીફોના ઇલાજરૂપે અને સવિશેષ પદ્ધતિના ભાગરૂપે હોઈ આજે ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બનેલ છે. આથી દેશમાં એક સમયમાં વડા પ્રધાને પણ કહેવું પડયું કે, “કરપ્શન ઇઝ અ કોમન ફિનોમિન ફોર ડેવલપમેન્ટ.’’ માત્ર ભ્રષ્ટાચારના વિરોધમાં ઉકેલ નથી મળતો અને પીડા વેઠી ચૂકેલા બૌદ્ધિકોએ ભાવુકતામાં ખેંચાયા વિના રોગના કારણ તરફ જોઈ તેના નવા ઉકેલ માટે વિચારવું પડશે તેમ જણાય છે.

નૈતિક વ્યવહારના હિમાયતીઓને ખોફ વ્યક્તિગત લાભ સામે છે પરંતુ રાજ્ય કે કોઈ સમૂહ જાહેર રીતે પ્રજાનું શોષણ કરે છે તો તેને શી રીતે સ્વીકૃતિ આપી શકાય ?આર્થિક વ્યવહારના ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર વ્યક્તિ વિશેનું દૃષ્ટિબિંદુ લોકોની નૈતિકતામાં આવેલ ગિરાવટ ઉપર કેન્દ્રિત થાય છે, પરંતુ સમાજનો અનુભવ કંઈક જુદી દિશામાં ચાલી રહ્યો છે. ત્યારે વિજ્ઞાન અને તકનીક આધારે વ્યવહાર ગોઠવતા જઈશું તો એક સમયે કેશલેસ ટ્રાન્જેકશનને આકાર આપી ભ્રષ્ટાચાર નિર્મૂલન તરફ એક ડગલું માંડી શકીશું.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top